Navy Agniveer Bharti 2022: અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ભારતીય નેવીમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 01 જુલાઈ 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં થઈ રહેલી અગ્નિવીરોની ભરતીમાં (Indian Navy Recruitment) પહેલી બેચમાં 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં પણ મહિલાઓની પણ ભરતી કરવામાં આવી રહી છે. અગ્નિવીર એસએસઆરમાં અરજી કરવા માટે જોઈન નેવીની ઓફિશિયલ વેબસાઈટ Join Navy – joinindiannavy.gov.in પર જવું પડશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અગ્નિપથ યોજના હેઠળ નેવી અગ્નિવીર એસએસઆર પદ માટે 10 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ નેવીમાં અગ્નિવીર બનવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારી નોકરી માટે જાહેર કરાયેલી આ વેકેન્સી હેઠળ કુલ 2,800 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મહિલા ઉમેદવારો માટે 560 બેઠકો રાખવામાં આવી છે.
ભારતીય નેવીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર એસએસઆર અને અગ્નિવીર એમઆરના પદો પર ભરતી કરવામાં આવશે. અગ્નિવીર એસએસઆર માટે 12મું પાસ અને એમઆર માટે 10મું પાસ યુવા અરજી કરી શકે છે. બંને માટે મહત્તમ વય મર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. 23 વર્ષની વય મર્યાદા આ વર્ષ માટે જ છે, આવતા વર્ષથી તે 21 વર્ષ જ રહેશે.
ભારતીય નેવીમાં અગ્નિવીરની સેલેરી પહેલા વર્ષમાં 30 હજાર રૂપિયા હશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે 36 હજાર રૂપિયા અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા હશે. પરંતુ સેલેરીમાંથી 30 ટકા અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે કાપવામાં આવશે. એ જ રીતે આ ફંડમાં કેન્દ્ર સરકાર પણ મૂકશે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી કોર્પસ ફંડમાં જમા રકમ નિવૃત્તિના રૂપમાં વ્યાજ સહિત મળશે.