દેશમાં IAS, IPSની નિમણૂક માટે યુનિયન પબ્લિક સર્વિસ (UPSC) દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે સેંકડો IAS અને IPSની પસંદગી કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે અને પછી સમગ્ર દેશમાં પોસ્ટ કરવામાં આવે છે. હજુ પણ દેશમાં લગભગ 2500 IAS અને IPS અધિકારીઓની અછત છે. કેન્દ્ર સરકારે ખુદ આ માહિતી આપી છે. કેન્દ્રીય રાજ્ય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું કે, આટલી અછત હોવા છતાં UPSC સિવિલ સર્વિસિસમાં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો નથી. લેટરલ એન્ટ્રી અંગે પણ માહિતી આપવામાં આવી છે.
ગુરુવારે, મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, હાલમાં ભારતના વિવિધ રાજ્યોમાં કુલ 1472 IAS અને 864 IPS અધિકારીઓની જગ્યાઓ ખાલી છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા દર વર્ષે 180 IAS અને 200 IPSની પસંદગી કરવામાં આવે છે. આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જ્યારે જગ્યાઓ ખાલી છે ત્યારે સરકાર ખાલી જગ્યાઓની સંખ્યા કેમ નથી વધારી રહી?
ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું કે, Baswan Committeeની ભલામણોના આધારે 2012માં IASની પોસ્ટ વાર્ષિક 180 સુધી વધારી દેવામાં આવી હતી. જ્યારે IPSની ખાલી જગ્યા 2020થી વધારવામાં આવી હતી, ત્યારથી 200 પોસ્ટ્સ પર પસંદગી શરૂ થઈ હતી. કમિટીએ પોતાની ભલામણમાં એમ પણ કહ્યું હતું કે, એક વર્ષમાં વધુ પોસ્ટ ન વધારવામાં આવે. તેની પાછળ ત્રણ મહત્વના કારણો જણાવવામાં આવ્યા છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે, 2019થી અત્યાર સુધીમાં કુલ 37 અધિકારીઓની લેટરલ એન્ટ્રી દ્વારા પસંદગી કરવામાં આવી છે. 2019માં 7 અને 2021માં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની જગ્યાઓ માટે 21 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.