ટાટા ગ્રુપ દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ પૈકીનું એક છે. આ ગ્રુપની ઘણી કંપનીઓ સારો નફો કરી રહી છે. પરંતુ પ્રથમ વખત ગ્રુપની આ કંપની નફાકારક બની છે. ટાટા ગ્રૂપની એરલાઇન કંપની વિસ્તારાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રથમ વખત નફો કર્યો છે. કંપનીએ ચાલુ સપ્તહમાં આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે. જોકે, તેણે નફાની રકમ જાહેર કરી નથી. વિસ્તારાએ એમ પણ કહ્યું કે તેની આવક એક અબજ ડોલરને વટાવી ગઈ છે અને આ નાણાકીય વર્ષમાં તેનું EBITDA પોઝિટિવ રહ્યું છે. વિસ્તારામાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું રોકાણ છે. તે 9 જાન્યુઆરી,2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તેના કાફલામાં 52 એરક્રાફ્ટ છે.
વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને કહ્યું હતું કે આ વર્ષ 2022 કંપની માટે શાનદાર રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન કંપનીએ તેના નેટવર્ક અને કાફલામાં વધારો કર્યો છે. વિસ્તારામાં 5,000 થી વધુ કર્મચારીઓ છે અને દર મહિને લગભગ 8,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. ડિસેમ્બર 2022માં સ્થાનિક બજારમાં તેનો હિસ્સો 9.2 ટકા હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સિંગાપોર એરલાઈન્સે વિસ્તારાના એર ઈન્ડિયા સાથે મર્જરની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયા તાજેતરમાં ટાટા ગ્રુપમાં પરત પરત આવી છે.
કન્નને કહ્યું કે આવતા વર્ષના મધ્ય સુધીમાં એરલાઇન પાસે કુલ 70 એરક્રાફ્ટ હશે જેમાં સાત બોઇંગ 787નો સમાવેશ થાય છે. જેમાંથી 10 એરક્રાફ્ટ A321 અને 53 એરક્રાફ્ટ A320 Neo હશે. A320 Neoમાંથી 10 એરક્રાફ્ટમાં માત્ર ઇકોનોમી ક્લાસ હશે જ્યારે બાકીના એરક્રાફ્ટમાં ત્રણેય ક્લાસ હશે.
ટાટા ગ્રુપ તેના તમામ એરલાઇન બિઝનેસને એક બ્રાન્ડ હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે એરએશિયા ઇન્ડિયા અને વિસ્તારા બંનેને એર ઇન્ડિયામાં મર્જ કરવામાં આવશે. ટાટા ગ્રુપે પણ આ ત્રણેય એરલાઈન્સને સાથે લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. ટાટા ગ્રુપે ગયા વર્ષે ઓક્ટોબરમાં એર ઈન્ડિયાને રૂ. 18,000 કરોડની ખરીદી હતી. મલેશિયાની એરલાઇન એરએશિયાએ એરએશિયા ઇન્ડિયાનો બાકીનો 16.33 ટકા હિસ્સો એર ઇન્ડિયાને વેચી દીધો છે. એરએશિયા ઇન્ડિયાએ જૂન 2014માં ભારત માટે ફ્લાઇટ્સ શરૂ કરી હતી. એરએશિયા ગ્રુપની ભારતમાં આઠ વર્ષની યાત્રા કપરી રહી છે. તેની ખોટ સતત વધી રહી હતી.
Published On - 8:29 am, Wed, 25 January 23