અનલોક-1ના સમયગાળામાં વિવિધ કાર ઉત્પાદક કંપનીઓએ કારનું નોંધપાત્ર વેચાણ કર્યું છે. જુન મહિનામાં મારુતિએ 57 હજારથી વધુ, હુન્ડાઈએ 26 હજારથી વધુ તો ટોયોટો 3866 કારનું વેચાણ કર્યું છે. જ્યારે એસ્કોર્ટ કંપનીએ 10851 ટ્રેકટરનું વેચાણ કર્યું છે. મારુતિ, હુન્ડાઈ, ટોયોટો કંપનીની કારના કુલ વેચાણને એંકદરે રૂપિયા પાંચ લાખના હિસાબે ગણીએ તો, સરેરાશ રૂપિયા 44 અબજથી વધુની કિંમતની 88,114 કારનું વેચાણ થયુ છે.
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે એપ્રિલ અને મે મહિનામાં લોકડાઉન જાહેર કર્યું હતું. આ બન્ને મહિનામાં કોઈ જ આર્થિક પ્રવૃતિઓ ના થતા દેશભરની કંપનીઓ સહીત દેશનું અર્થતંત્ર ઠપ્પ થયુ. પરંતુ અનલોક -1ના સમયગાળામાં કાર વેચાણના જાહેર થયેલા આકડાઓ દેશનુ અર્થતંત્ર બહુ જ ઝડપથી પાટા ઉપર ચડશે તેવો અણસાર આપી રહ્યાં છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતી સુઝીકીએ જાહેર કરેલા જુન મહિનાના કાર વેચાણના આકંડાઓ મુજબ, 57428 કારનું વેચાણ થયું છે. જે એક પાછલા વર્ષની સરખામણીએ 54 ટકા ગગડ્યું છે. ગયા વર્ષે જૂન મહિનામાં મારુતી સુઝીકીએ 1,24,708 કારનું વેચાણ કર્યું હતું. મારુતીએ 57,428 કારના વેચાણને સરેરાશ પાંચ લાખના હિસાબે ગણીએ તો, રૂ. 2871.40 લાખની કારનુ વેચાણ થયુ છે. 10458 અલ્ટો અને વેગનઆર જેવી નાની કારનું વેચાણ થયુ છે. તો 26,696 કાર સ્વીફ્ટ, સેલેરીયો, ઈગ્નીશ,બલેનો અને ડીઝાયરનું વેચાણ થયું છે. સેડાનમાં ગણાતી 553 સિયાજનું વેચાણ થયું છે.
હુન્ડાઈ કંપનીએ 26,820 કારનું વેચાણ કર્યું છે. હુન્ડાઈએ ભારતમાં 21320 કાર અને વિદેશમાં 5500 કારનું વેચાણ કર્યું છે. તો ટોયોટો કિર્લોસ્કર કંપનીએ 3866 કારનું વેચાણ કર્યું છે. જે પાછલા વર્ષના જૂન મહિનાની સરખામણીએ 63.53 ટકા ઓછુ વેચાણ છે. જો કે મે મહિનામાં ટોયોટો કિર્લોસ્કર કંપનીએ 1639 કારનું વેચાણ કર્યું હતું.