
મોટા શહેરો અને મહાનગરોમાં નોકરીયાત લોકો માટે મકાન રાખવું એ જીવનનો અભિન્ન ભાગ હોય છે. જો તમે પ્રીમિયમ વિસ્તારમાં રહો છો અને તમારું માસિક ભાડું રૂપિયા 50,000 થી વધુ છે, તો આવકવેરા વિભાગના એક ખૂબ જ સંવેદનશીલ નિયમથી વાકેફ રહેવું જરૂરી છે. આ નિયમના અભાવે થયેલી એક નાની ભૂલ પણ આવકવેરાની નોટિસ અને તમને 1 લાખ સુધીના દંડ સાથેની નાણાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે.આ નિયમ તમારા બેંક ખાતા અને તમારી ટેક્સ પ્રોફાઇલ સાથે પણ સીધો જોડાયેલો છે.
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 194-IB જણાવે છે કે જો કોઈ સામાન્ય વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજ્ય પરિવાર (HUF) દર મહિને રૂપિયા 50000 થી વધુનું ભાડું ચૂકવે છે, તો ભાડે રહેનાર વ્યક્તિ કાયદેસર રીતે કાપવામાં આવેલ કર (TDS) માટે જવાબદાર હોય છે. આનો સીધો અર્થ એ છે કે તમારે તમારા મકાનમાલિકને સંપૂર્ણ ભાડું ચૂકવતા પહેલા નકકી કરાયેલ દરે TDS કાપવો પડશે અને કાપેલી રકમ સરકારમાં જમા કરાવવી પડશે.
કેન્દ્રીય બજેટ 2024 માં સરકારે ભાડૂઆતોને થોડી રાહત આપતા TDS દરોમાં સુધારો કર્યો છે. 1 ઓક્ટોબર,2024 થી કલમ 194-IB હેઠળ TDS દર 5% થી ઘટાડીને 2% કરવામાં આવી છે. જેના માટે સખ્ત નિયમ છે કે મકાનમાલિક પાસે PAN કાર્ડ હોવું આવશ્યક છે. જો તમારા મકાનમાલિક પોતાના PAN કાર્ડની વિગતો આપવાનો ઇનકાર કરે છે અથવા તેની પાસે ન હોય, તો TDS દર સીધા જ 20 % થઈ જશે. એકમાત્ર રાહત એ છે કે કાપવામાં આવેલ કુલ TDS નાણાકીય વર્ષના છેલ્લા મહિનાના ભાડા અથવા ઘરના છેલ્લા મહિનાના ભાડાથી વધુ ન હોઈ શકે.
આ નિયમના અવગણવાથી આર્થિક રીતે ખૂબ નુકસાન થઈ શકે છે.જો તમે TDS કાપવાનું ભૂલી જાઓ છો, તો તમારે દર મહિને 1% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. ઉપરાંત જો તમે TDS કાપ્યા પછી સરકારમાં જમા નહીં કરો તો, આ વ્યાજ દર 1.5% સુધી વધી જશે. સમસ્યાઓ અહીં સમાપ્ત થતી નથી; સમયસર TDS રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જવાથી કલમ 271H હેઠળ દરરોજ ₹200 ની લેટ ફી અને ₹1 લાખ સુધીનો દંડ થશે. વધુમાં, આવકવેરા વિભાગ તમને “એસેસી ઇન ડિફોલ્ટ” જાહેર કરી શકે છે અને કપાત ન કરાયેલ સંપૂર્ણ કર સીધા જ ભાડૂઆત (એટલે કે, તમારી પાસેથી) પાસેથી વસૂલવામાં આવશે.
NA શાહ એસોસિએટ્સના ટેક્સ પાર્ટનર ગોપાલ બોહરાના મતે, TDS કાપવાનો શ્રેષ્ઠ સમય નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો (સામાન્ય રીતે માર્ચ) અથવા તમે જ્યારે ઘર ખાલી કરો છો તે મહિનામાં કર કાપવામાં આવે છે તેના 30 દિવસની અંદર સરકારી ખાતામાં ટેક્સ જમા કરાવવો ફરજિયાત હોય છે. એટલે કે, જો તમે માર્ચ 2026 માં TDS કાપ્યો હોય, તો તે 30 એપ્રિલ, 2026 સુધીમાં જમા કરાવવો આવશ્યક છે.
આવકવેરા વિભાગે 2017 માં સ્પષ્ટ ઇરાદા સાથે આ કડક જોગવાઈ લાગુ કરી હતી. વિભાગને જાણવા મળ્યું હતું કે ઘણા કરદાતા તેમની ઓફિસોમાંથી નોંધપાત્ર ઘર ભાડા ભથ્થા (HRA) નો દાવો કરી રહ્યા હતા, પરંતુ તેમના મકાનમાલિકો આ ભાડાને તેમની આવકના ભાગ રૂપે રિપોર્ટ કરી રહ્યા ન હતા. આ જ કરચોરી અને મિસમેચ રોકવા માટે સરકારે TDS કાપવાની સંપૂર્ણ જવાબદારી ભાડૂઆતો પર ખસેડી દીધી.
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ 12 સ્થળોએ પાડ્યા દરોડા ! જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:44 pm, Sat, 7 March 26