ટાટા ગ્રુપની જુદી-જુદી કંપનીઓ દેશમાં લગભગ બધા જ સેક્ટરમાં કાર્યરત છે. ટાટા ગૃપ હવે ભગવાનના શરણે પહોંચ્યું છે. ટાટા ગ્રૂપ દ્વારા માતા વૈષ્ણોદેવી, અયોધ્યા ભગવાન શ્રી રામ અને તિરુપતિ બાલાજી જેવા દેશના મોટા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનો પરથી બમ્પર કમાણી કરવાનો પ્લાન બનાવ્યો છે.
ટાટા ગ્રૂપની કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે હવે તેના નેટવર્કના વિસ્તરણનો પ્લાન બનાવ્યો છે. કંપની આ સેગમેન્ટમાં લીડર બનવા માંગે છે. તેથી કંપનીએ ઘણા ધાર્મિક સ્થાનો પર પોતાની હોટલ શરૂ કરી છે અથવા તો હોટલ ખોલવા તરફ આગળ વધી રહી છે. કંપની માને છે કે તે આ સેગમેન્ટમાં વૈશ્વિક લીડર બનશે. આ કંપની તાજ, વિવાંતા અને જીંજર નામથી હોટલ ચલાવે છે.
ઈન્ડિયન હોટેલ્સના MD અને CEO પુનીત ચટવાલના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રુપની હોટલ હવે દેશમાં 50 થી વધારે જગ્યા પર છે. આગામી સમયમાં તેની સંખ્યા વધીને 66 થશે. જેમાં વૈષ્ણોદેવીથી લઈને તિરુપતિ બાલાજી સુધી કંપનીની હોટલ ખોલવામાં આવી છે. કંપની અયોધ્યા જેવા નવા વિકસતા આધ્યાત્મિક પર્યટન સ્થળ પર હોટલોનું વિસ્તરણ પણ કરી રહી છે.
કંપનીએ 3 કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી એક હોટલ આવનારા એક વર્ષમાં ચાલુ થઈ જશે. કંપની તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા માંગે છે. તેમણે આગળ જણાવ્યું કે, ગુવાહાટી જેવા સ્થળે પહોંચનાર અમે પહેલી હોટલ બ્રાન્ડ છીએ. અમે ઘણા આધ્યાત્મિક સ્થાનો પર સેવાઓ આપી રહ્યા છીએ અને આ પણ અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે.
આ પણ વાંચો : ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો આવશે? વિદેશી રોકાણકારોએ આપ્યા આ સંકેતો
પુનીત ચટવાલે કહ્યુ કે, મને લાગે છે કે આધ્યાત્મિક સ્થાનો અને આધ્યાત્મિકતા સમગ્ર વિશ્વમાં વધારે મહત્વની ભૂમિકા ભજવશે. તે ફક્ત અમારા માટે જ નહીં પરંતુ વિશ્વની વસ્તી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે ખુશ છીએ કે અમે તેમાં સૌથી આગળ છીએ. ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનો પર્યટન અને આતિથ્યની દ્રષ્ટિએ વધારે સુરક્ષિત વિકલ્પ છે કારણ કે લોકો સારા કે ખરાબ સમયમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે જાય છે.