રાધાકિશન દામાણી(Radhakishan Damani)ની કંપની એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ(Avenue Supermarkets Ltd.) જે રિટેલ ચેઇન ડી-માર્ટ(DMart)નું સંચાલન કરે છે તેણે માર્ચ 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં 3.11 ટકાનો ચોખ્ખો નફો રૂ. 426.75 કરોડ નોંધાવ્યો હતો. એવન્યુ સુપરમાર્ટ્સે BSEને માહિતી આપી હતી કે એક વર્ષ અગાઉ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 413.87 કરોડ હતો. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક 18.55 ટકા વધીને રૂ. 8,786.45 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 7,411.68 કરોડ હતી. તે જ સમયે કુલ ખર્ચ 18.71 ટકા વધીને રૂ. 8,210.13 કરોડ થયો છે જે ગયા વર્ષે રૂ. 6,916.24 કરોડ હતો.
સંપૂર્ણ નાણાકીય વર્ષ 2021-22 માટે કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 35.74 ટકા વધીને રૂ. 1,492.40 કરોડ થયો છે જે વર્ષ 2020-21માં રૂ. 1,099.43 કરોડ હતો. તેવી જ રીતે નાણાકીય વર્ષ 2021-22માં કામગીરીમાંથી આવક 28.3 ટકા વધીને રૂ. 30,976.27 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 24,143.06 કરોડ હતી. એવન્યુ સુપરમાર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર નેવિલ નોરોન્હાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ત્રિમાસિક કામગીરી અને અનુભવે બિઝનેસની સ્થિતિસ્થાપકતા અને ટૂંકા ગાળાની રિકવરીમાં વિશ્વાસ જગાડ્યો છે.
ડી-માર્ટ કંપનીના માલિક રાધાકિશન દામાણી(Radhakishan Damani) છે જેનું નામ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સામેલ છે. દામાણી સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર, સ્ટોક બ્રોકર, ટ્રેડર અને ડી-માર્ટ કંપનીના સ્થાપક તરીકે ઓળખાય છે. દામાણીએ સાધારણ સ્ટોક બ્રોકરમાંથી ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રાધાકિશન દામાણીનો જન્મ 1954માં મુંબઈના મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા શિવ કિશન દામાણી પણ તેમના સમયમાં સ્ટોક બ્રોકર હતા. રાધાકિશન દામાણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે. એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે કોલેજ છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
રાધાકિશન દામાણીએ તેમના વ્યવસાયની શરૂઆત બોલ બેરિંગના વ્યવસાયથી કરી હતી. તેમના પિતા શિવ કિશન દામાણીના અવસાન પછી તેમણે શેરબજારના બ્રોકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. દામાણીનો ધંધો હજુ ચાલી શક્યો ન હતો આ દરમિયાન પિતાના નિધન બાદ તેમણે મજબૂરીમાં શેરબજારનું કામ શરૂ કર્યું.
ડી માર્ટની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના સ્થાપક રાધાકિશન દામાણીને જાય છે. જેમણે આવી સુપરમાર્કેટ ચેઈન બનાવી છે જે લોકો માટે તેમજ પોતાના માટે પણ ફાયદાકારક છે. રાધકિશન દામાણી પોતે એક મધ્યમવર્ગીય પરિવારના છે તેથી તેઓ સામાન્ય માણસની જરૂરિયાતો જાણે છે. આ ઉપરાંત તે શેરબજારના નિષ્ણાત પણ છે જેના કારણે તે સારી રીતે જાણે છે કે કઈ જગ્યાએ કેવી રીતે રોકાણ કરવું જેથી તે નફાકારક રહે.
Published On - 7:25 am, Sun, 15 May 22