ટાટા ગ્રૂપ(TATA Group)ના માનદ ચેરમેન રતન ટાટા(Ratan Tata)એ રવિવારે જણાવ્યું હતું કે જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ને તેમના ઉમદા વ્યક્તિત્વ, દયા અને દૂરંદેશી માટે હંમેશા યાદ કરવામાં આવશે. શેર બજારોની તેમની ઊંડી સમજણ માટે તેઓ જાણીતા હતા. ઝુનઝુનવાલાએ ટાટા જૂથના યુનિટ ટાઇટન સહિત ત્રણ ડઝનથી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું હતું. આ સિવાય તેમના પોર્ટફોલિયોમાં સ્ટાર હેલ્થ, રેલીસ ઈન્ડિયા, એસ્કોર્ટ્સ, કેનેરા બેંક, ઈન્ડિયન હોટેલ્સ કંપની, એગ્રો ટેક ફૂડ્સ, નઝારા ટેક્નોલોજીસ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
રતન ટાટાએ તેમના શોક સંદેશમાં કહ્યું કે ઝુનઝુનવાલાને ભારતના શેરબજારો વિશેની તેમની ઊંડી સમજણ માટે હંમેશા યાદ કરવામાં આવશે. રાકેશને તેમના ખુશખુશાલ વ્યક્તિત્વ, દયા અને દૂરંદેશી માટે પણ યાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મારી સંવેદના તેમના પરિવાર સાથે છે જેમણે આ મોટી ખોટનો બોજ ઉઠાવવો પડશે. ઉલ્લેખનીય છે કે ઝુનઝુનવાલાનું રવિવારે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેઓ 62 વર્ષના હતા. તેમની કુલ સંપત્તિ 5.8 બિલિયન ડોલર એટલે રૂ. 46,000 કરોડ હતી.
ઝુનઝુનવાલાની તાજેતરમાં શરૂ થયેલી એરલાઇન આકાશ એરના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઝુનઝુનવાલાને રવિવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના ભાઈના દુબઈથી આગમન બાદ રવિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
રાકેશ ઝુનઝુનવાલા તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકો છોડી ગયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહેતા હતા. તેમની કિડનીમાં થોડી સમસ્યા હતી. તેમના છેલ્લા જાહેર કાર્યક્રમમાં તેઓ વ્હીલચેરમાં આવ્યા હતા.
ઝુનઝુનવાલાએ તેમના કોલેજકાળ દરમિયાન માત્ર રૂ. 5,000ની મૂડી સાથે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તાજેતરમાં જેટ એરવેઝના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબે અને ઈન્ડિગોના ભૂતપૂર્વ વડા આદિત્ય ઘોષ સાથે મળીને દેશની નવી સસ્તું એરલાઈન ‘આકાશ એર’ શરૂ કરી છે.