
ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાના યુદ્ધની અસર ભારતના અર્થતંત્ર પર નોંધપાત્ર રીતે જોવા મળી રહી છે. આ કટોકટીનો સામનો કરવા માટે, સરકાર અનેક કટોકટીના પગલાં અમલમાં મૂકવાનું વિચારી રહી છે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને સુરક્ષિત રાખવાનો છે. આ માટે, સોનું અને ઇલેક્ટ્રોનિક માલ જેવી બિન-આવશ્યક વસ્તુઓની આયાત પર પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. વધુમાં, પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ભાવમાં પણ વધારો થઈ શકે છે. આ સંભવિત કટોકટીને ટાળવા માટે વડા પ્રધાન કાર્યાલય (PMO), નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ના અધિકારીઓ વચ્ચે ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે.
હાલમાં ચર્ચા હેઠળ રહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રસ્તાવોમાંનો એક ઇંધણના ભાવમાં વધારો છે. જો તેનો અમલ કરવામાં આવે તો, ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાનો સંઘર્ષ શરૂ થયા પછી આ પહેલો મોટો ભાવ વધારો હશે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અધિકારીઓમાં એક મોટી ચિંતા ચાલુ ખાતાની ખાધમાં થઈ રહેલ વધારો છે. દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને સુરક્ષિત રાખવા માટે, સરકાર સોના, ઇલેક્ટ્રોનિક્સ જેવી બિન-આવશ્યક ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધો લાદવા અથવા કડક નિયમો લાદવાનું વિચારી રહી છે. જો પરિસ્થિતિમાં સુધારો ના થાય, તો અધિકારીઓ વિદેશ મુસાફરી જેવા બિન-આવશ્યક હેતુઓ માટે વિદેશી ચલણની ફાળવણીને પણ અસ્થાયી રૂપે સ્થગિત કરી શકે છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠામાં સર્જાયેલ અવરોધ અને વૈશ્વિકસ્તરે ક્રુડના ભાવમાં થયેલ વધારો, ભારતને નોંધપાત્ર રીતે આર્થિક નુકસાન પહોંચાડી રહ્યો છે.
મોંઘાભાવનું ક્રૂડ ઓઈલ મેળવવા માટે, ભારતને મોટા પ્રમાણમાં ડોલર (વિદેશી ચલણ) ખર્ચવાની ફરજ પડી છે. પરિણામે, ભારતીય રૂપિયો રેકોર્ડ સ્તરે નીચે પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં, ડોલર સામે રૂપિયામાં 5.6%નો ઘટાડો થયો છે, જે તેને મુખ્ય એશિયન ચલણોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ બનાવે છે.
રૂપિયાના સતત ઘટાડાને રોકવા માટે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અનેક મુખ્ય પગલાં લઈ રહી છે. ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારની સ્થિતિ, 1 મે સુધીમાં, ઘટીને 690.7 બિલિયન અમેરિકન ડોલર થયો છે. જે એક મહિનાથી વધુ સમયનો સૌથી નીચલા સ્તરે છે. જો કે, આટલુ વિદેશી હૂંડિયામણ આગામી 10 થી 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતુ છે.