કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U)નો સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો છે. હવે આ યોજના 31 ડિસેમ્બર, 2024 સુધી લાગુ રહેશે. આમાં 31 માર્ચ, 2022 સુધીમાં મંજૂર થયેલા 122.69 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાયનો પણ સમાવેશ થાય છે. દેશના તમામ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સરકારી નિવેદન અનુસાર ઓરીજીનલ પ્રોજેક્ટ ડિમાન્ડ અનુસાર 102 લાખ મકાનોના નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પૈકી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી 40 લાખ મકાનોની દરખાસ્તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોડી પ્રાપ્ત થઈ હતી જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.
3 લાખથી 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ, અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. 18 લાખથી વધુની કમાણી કરતી વ્યક્તિઓ જેમની પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાન છે અથવા જેમને ભૂતકાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી.