જુલાઈ મહિનામાં 97 લાખથી વધુ પેસેન્જર્સે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ (Flight) દ્વારા મુસાફરી કરી હતી. આ જૂનમાં 10.5 મિલિયન મુસાફરોની સંખ્યાના આંકડા કરતાં 7.6 ટકા ઓછું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવારે આ માહિતી આપી. ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન કુલ 6.69 કરોડ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી. સામાન્ય રીતે વરસાદના વાતાવરણમાં હવાઈ મુસાફરી ઘટી જાય છે. આ વખતે પણ એ જવા મળ્યુ. જુલાઈ મહિનો સૌથી વધુ પ્રભાવિત જોવા મળ્યો છે કારણ કે આ મહિનામાં દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ખરાબ હવામાનને કારણે સેવા પ્રભાવિત થઈ હતી અને લોકો પણ આ સિઝનમાં હવાઈ મુસાફરી ટાળવા માંગે છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેની અસર ટ્રાફિક સેવા પર જોવા મળી રહી છે.
જુલાઈમાં દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના મુસાફરોની સંખ્યા 57.11 લાખ હતી. સ્થાનિક બજારમાં કંપનીનો હિસ્સો 58.8 ટકા રહ્યો. ડીજીસીએના ડેટા અનુસાર જુલાઈ મહિનામાં વિસ્તારા એરલાઈનના મુસાફરોની સંખ્યા 10.13 લાખ હતી. જ્યારે જુલાઈમાં એર ઈન્ડિયાના મુસાફરોની સંખ્યા 8.14 લાખ હતી. GoFirst, SpiceJet, Air Asia India અને Alliance Airએ અનુક્રમે 7.95 લાખ, 7.76 લાખ, 4.42 લાખ, 1.12 લાખ મુસાફરોને સેવા આપી હતી.
જુલાઈ મહિનામાં સ્પાઈસજેટમાં એરક્રાફ્ટમાં સીટો સામે ક્ષમતાનો ઉપયોગ (લોડ ફેક્ટર) 84.7 ટકા હતો. આ સિવાય વિસ્તારા, ઈન્ડિગો, ગોફર્સ્ટ, એર એશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ક્ષમતાનો ઉપયોગ અનુક્રમે 84.3 ટકા, 77.7 ટકા, 76.5 ટકા, 75.2 ટકા અને 71.1 ટકા હતો. વરસાદી વાતાવરણ ઉડ્ડયન ક્ષેત્ર માટે યોગ્ય માનવામાં આવતુ નથી કારણ કે આવી સિઝનમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થાય છે. લોડ ફેક્ટરને ઓક્યુપન્સી રેટ અથવા ફ્લાઈટ સેવામાં ક્ષમતાના ઉપયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
છેલ્લા બે વર્ષમાં કોરોના રોગચાળાને કારણે ફ્લાઈટ સેવાને માઠી અસર થઈ છે. કોરોનામાં લોકડાઉન અને હવાઈ મુસાફરી પરના નિયંત્રણોએ આ ક્ષેત્રને ઘણી અસર કરી છે. કોરોના મહામારીના કારણે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં હવાઈ સેવા ઠપ્પ થઈ ગઈ છે. હવે હવાઈ ઉડાનો સંપૂર્ણ રીતે ખોલવામાં આવી છે અને કોઈપણ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી. જોકે, ડીજીસીએએ બુધવારે જાહેર કરેલા નિર્દેશમાં સ્પષ્ટ કર્યું છે કે વિમાનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે. કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે, નહીં તો દંડ ફટકારવામાં આવશે.
જ્યાં સુધી ફ્લાઈટને સમયસર ઉડાવવાની વાત છે, DGCAના ડેટા દર્શાવે છે કે એર એશિયા ઈન્ડિયાનું નામ આ મામલે પ્રથમ છે. આ એરલાઈન કંપનીનું સમયસર શ્રેષ્ઠ પ્રદર્શન 95.5% છે. દેશના ચાર મેટ્રો એરપોર્ટ બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈથી ઉડતી ફ્લાઈટ્સ 95.5 ટકા સુધી સમયસર ઉડાન ભરી હતી. સમયસર ફ્લાઈટના સંદર્ભમાં વિસ્તારા બીજા ક્રમે અને ગો ફર્સ્ટ ત્રીજા ક્રમે છે. વિસ્તારનું ઑન-ટાઈમ પર્ફોર્મન્સ 89 ટકા હતું, જ્યારે ગો ફર્સ્ટનું ઑન-ટાઈમ પર્ફોર્મન્સ 84.1 ટકા જોવા મળ્યું હતું. આ બતાવે છે કે કઈ એરલાઈનનું પ્લેન તેના નિર્ધારિત સમય પર ઉડે છે. તે પેસેન્જર સેવા માટે સારું માનવામાં આવે છે.