ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (National Highways Authority of India- NHAI)ને ‘સોનાની ખાણ’ ગણાવી હતી. ગડકરીએ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરવા માટે લાંબી મુસાફરી પૂર્ણ કરી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં એનએચએઆઈ (NHAI)ની વાર્ષિક ટોલ આવક વધીને 1.40 લાખ કરોડ રૂપિયા થઈ જશે. અત્યારે તે 40,000 કરોડના સ્તરે છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાય ચાર રાજ્યોમાંથી પસાર થશે. આ 8 લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે. આ સાથે રાષ્ટ્રીય રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચે મુસાફરીનો સમય વર્તમાન 24 કલાકથી ઘટીને અડધો એટલે કે 12 કલાક થઈ જશે.
ગડકરીએ કહ્યું કે એકવાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે કાર્યરત થઈ જાય અને જનતા માટે ખુલ્લો થઈ જાય, તે કેન્દ્રને દર મહિને 1,000થી 1500 કરોડ રૂપિયાની ટોલ આવક આપશે. માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું કે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું માળખું વિશ્વસ્તરીય સફળતાની ગાથા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિર્માણ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેનું નિર્માણ ‘ભારતમાલા પરિયોજના’ (Bharatmala Pariyojana)ના પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવી રહ્યું છે.
આ એનએચએઆઈ પર ખૂબ ઉંચો દેવાનો બોજ હોવાની ચિંતા વચ્ચે ગડકરીએ કહ્યું કે નોડલ એજન્સીને ‘ટ્રિપલ એ’ રેટિંગ મળ્યું છે અને તેના તમામ રોડ પ્રોજેક્ટ્સ ઉત્પાદક છે. તેમણે કહ્યું કે NHAI દેવાની જાળમાં નથી. પરંતુ આ સોનાની ખાણ છે. NHAIની ટોલ આવક આગામી પાંચ વર્ષમાં વાર્ષિક રૂ. 1.40 લાખ કરોડ સુધી પહોંચશે. તે અત્યારે 40,000 કરોડ રૂપિયા છે.
માર્ચમાં વિભાગ સાથે સબંધિત પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર સંસદની સ્થાયી સમિતિએ એનએચએઆઈ (NHAI) પર 97,115 કરોડ રૂપિયાની કર જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચના અંત સુધીમાં NHAIનું કુલ દેવું વધીને 3,06,704 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે માર્ચ 2017ના અંત સુધી 74,742 કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચો : મહામારી બન્યું સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે કમાઈ રહ્યા છે નામ