
જો તમે સમયસર અને યોગ્ય રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતા નથી, તો ટેક્સ રિફંડ મોડું મળવું, વધારાનો ટેક્સ ભરવાનો વારો આવવો, દંડ લાગવો અથવા આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી વખત કરદાતાઓ અજાણતાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જે બાદમાં મોટી મુશ્કેલીનું કારણ બને છે. ITR ફાઇલ કરતાં પહેલાં નીચે દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જો તમે પાત્રતા વગર ટેક્સ કપાત (Deduction) અથવા છૂટ (Exemption)નો દાવો કરો છો, તો આવકવેરા વિભાગ તેની તપાસ કરી શકે છે. હાલ વિભાગ અદ્યતન ડેટા એનાલિટિક્સ અને ટેક્નોલોજીની મદદથી રિટર્નનું વિશ્લેષણ કરે છે. ખોટા દાવા નોટિસનું કારણ બની શકે છે.
તમારી આવકના પ્રકાર મુજબ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, પગારદાર વ્યક્તિ માટે એક પ્રકારનું ફોર્મ હોય છે, જ્યારે વ્યવસાય અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો માટે અલગ ફોર્મ હોય છે. ખોટું ફોર્મ પસંદ કરવાથી રિટર્નમાં ખામી ગણાઈ શકે છે.
નાણાકીય વર્ષ (FY) અને Assessment Year (AY) અલગ હોય છે. ખોટું AY દાખલ કરવાથી રિટર્નમાં ભૂલો સર્જાઈ શકે છે અને તેને સુધારવાની જરૂર પડી શકે છે.
નામ, PAN, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ અને સરનામા જેવી વિગતો સત્તાવાર રેકોર્ડ મુજબ જ દાખલ કરવી જોઈએ. ઉપરાંત રિફંડ માટે બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ પણ સાચા હોવા જરૂરી છે.
માત્ર પગાર જ નહીં, પરંતુ બચત ખાતાનું વ્યાજ, FDનું વ્યાજ, ભાડાની આવક, ડિવિડન્ડ, કેપિટલ ગેઇન અથવા અન્ય કોઈપણ આવક ITRમાં દર્શાવવી જરૂરી છે. કેટલીક આવક ટેક્સમુક્ત હોય તો પણ તેની માહિતી આપવી જોઈએ.
તારીખ, આંકડા અથવા અન્ય વિગતો નિર્ધારિત ફોર્મેટમાં જ ભરવી જોઈએ. ખોટા ફોર્મેટને કારણે રિટર્નમાં ટેકનિકલ ભૂલો આવી શકે છે.
ITR ફાઇલ કરતા પહેલાં Form 26AS અને Form 16માં દર્શાવેલી TDSની વિગતોનું ચકાસણી જરૂર કરવી જોઈએ. જો TDSની માહિતી ઉપલબ્ધ ન હોય તો ટેક્સ ક્રેડિટ મળવામાં મુશ્કેલી આવી શકે છે.
Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS)માં તમારી આવક, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો હોય છે. ITR દાખલ કરતાં પહેલાં આ માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.
જો વર્ષ દરમિયાન નોકરી બદલી હોય અને બે અલગ કંપનીઓ પાસેથી Form 16 મળ્યો હોય, તો બંને જગ્યાની આવક ભેગી કરીને ITRમાં દર્શાવવી જોઈએ.
જો નોકરીદાતાને ભાડાની રસીદ સબમિટ ન કરી હોય, તો પણ પાત્રતા મુજબ ITR ફાઇલ કરતી વખતે HRA છૂટનો દાવો કરી શકાય છે. કેટલીક સ્થિતિમાં મકાન માલિકનો PAN જરૂરી બની શકે છે.
આવકવેરા કાયદા હેઠળ અનેક પ્રકારની કપાત અને છૂટ ઉપલબ્ધ હોય છે. પૂરતી માહિતીના અભાવે ઘણા કરદાતાઓ તેનો લાભ લઈ શકતા નથી.
જો તમારા પર એડવાન્સ ટેક્સ લાગુ પડતો હોય, તો તે નિર્ધારિત તારીખે જમા કરાવવો જરૂરી છે. મોડું અથવા ઓછું ચુકવવાથી વ્યાજ ચૂકવવું પડી શકે છે.
રિટર્ન ફાઇલ કર્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં તેનું e-Verification કરવું જરૂરી છે. જો આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો ITRની પ્રક્રિયા અધૂરી ગણાઈ શકે છે અને રિફંડમાં વિલંબ થઈ શકે છે.
જો તમારી કુલ આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય, તો Schedule AL ભરવું ફરજિયાત બને છે. તેમાં તમારી સંપત્તિ અને સંબંધિત જવાબદારીઓની માહિતી આપવાની હોય છે.
જો તમે ભારતીય નિવાસી (Resident and Ordinarily Resident) છો અને તમારી પાસે વિદેશમાં બેંક ખાતું, શેર, મ્યુચ્યુઅલ ફંડ, ESOP અથવા અન્ય કોઈ સંપત્તિ હોય, તો તેની માહિતી Schedule FAમાં જાહેર કરવી ફરજિયાત છે. આવી વિગતો છુપાવવાથી કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
નોંધ: ITR ફાઇલ કરતા પહેલાં તમામ દસ્તાવેજો અને માહિતીની સારી રીતે ચકાસણી કરવી અને જરૂર પડે તો ટેક્સ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. આ સાવચેતી તમને ટેક્સ રિફંડ સમયસર મેળવવામાં અને ભવિષ્યની અનાવશ્યક મુશ્કેલીઓથી બચવામાં મદદરૂપ બની શકે છે.