Edible Oil Price: વધુ મોંઘુ ખાદ્ય તેલ ખરીદવા રહો તૈયાર, ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

પામ તેલ(Palm Oil)ના સૌથી મોટા ઉત્પાદક ઈન્ડોનેશિયાએ તેની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધનો આ આદેશ 28 એપ્રિલથી અમલમાં આવશે. ઈન્ડોનેશિયાની આ જાહેરાત બાદ ભારતમાં ખાદ્યતેલો (Edible Oil)ની મોંઘવારીમાં વધારો થશે.

Edible Oil Price: વધુ મોંઘુ ખાદ્ય તેલ ખરીદવા રહો તૈયાર, ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
Edible Oil Price (File Photo)
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:28 AM

ભારતમાંથી ઘઉં, ચોખા અને અન્ય અનાજની રેકોર્ડ નિકાસ વચ્ચે દેશની સામે આયાતના મોરચે મોટી સમસ્યા ઉભી થઈ છે. પામ તેલ(Palm Oil)ના સૌથી મોટા ઉત્પાદક ઇન્ડોનેશિયાએ તેની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધનો આ આદેશ 28 એપ્રિલથી અમલમાં આવશે. ઈન્ડોનેશિયાની આ જાહેરાત બાદ ભારતમાં ખાદ્યતેલો (Edible Oil)ના ભાવમાં વધારો થશે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સના પ્રમુખ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે બપોરે 3 વાગ્યાની આસપાસ ઈન્ડોનેશિયાએ નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પછી ભારતીય બજારમાં તેલ મોંઘુ થવા લાગ્યું. આ જાહેરાત પહેલા પામોલીનનો જથ્થાબંધ ભાવ (Price)પ્રતિ 10 કિલો 1,470 રૂપિયા હતો, જે રાત સુધીમાં વધીને 1,525 રૂપિયા થઈ ગયો.

ખાદ્ય તેલના વેપાર પર નજર રાખતા ઠક્કરે જણાવ્યું હતું કે ભારત કાચું પામોલિન ઈન્ડોનેશિયાથી જ્યારે તૈયાર પામોલિન એટલે કે રિફાઈન્ડ મલેશિયાથી આયાત (Import) કરે છે. આપણી કુલ ખાદ્યતેલની આયાતમાંથી લગભગ 65 ટકા ઈન્ડોનેશિયાથી આવે છે. તેથી, ત્યાંથી નિકાસ બંધ થવી એ આપણા ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે. આ પછી સરસવની કિંમત આસમાને પહોંચશે, જે પહેલાથી જ MSP કરતા વધુ દરે વેચાઈ રહી છે. આ ઉપરાંત સીંગદાણા, સોયાબીન અને સૂર્યમુખી તેલ પણ મોંઘા થશે. હવે મલેશિયા કિંમત બાબતે મનસ્વી રહેશે.

ખાદ્યતેલોની માગ અને પુરવઠામાં મોટો તફાવત

ખાદ્યતેલોમાં ભારત હજુ આત્મનિર્ભર નથી. સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અહેવાલ મુજબ ખાદ્ય તેલની સ્થાનિક માગ લગભગ 250 લાખ ટન છે, જ્યારે ઉત્પાદન માત્ર 112 લાખ ટન છે. લગભગ 56%ના આ અંતરને ભરવા માટે આપણે અન્ય દેશોમાંથી ખાદ્ય તેલ આયાત કરીએ છીએ.

આ માટે આપણે અન્ય દેશોને વાર્ષિક લગભગ 70 હજાર કરોડ રૂપિયા આપીએ છીએ. તેથી, ઈન્ડોનેશિયા દ્વારા પામોલિનની નિકાસ અટકાવવી એ ફુગાવાના મોરચે ભારતીય ગ્રાહકો માટે વધુ એક ફટકો છે. કારણ કે ઈન્ડોનેશિયામાં પામ ઓઈલ સંકટના કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધી શકે છે.

ઈન્ડોનેશિયાએ નિકાસ કેમ બંધ કરી?

ઠક્કરે જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાએ તેના સ્થાનિક ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. ઈન્ડોનેશિયા, પામ તેલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક પામ તેલની અછતને લગતી ખૂબ જ અલગ કટોકટીનો સામનો કરી રહ્યું છે. તેની અછત એટલી મોટી છે કે ઈન્ડોનેશિયાની સરકારે છેલ્લા કેટલાક મહિનામાં અહીં કિંમતોને કાબૂમાં રાખવા માટે સખત પગલાં લેવા પડ્યા છે.

સૌપ્રથમ, 1 ફેબ્રુઆરીએ તેમણે ત્યાં ખાદ્ય તેલના ભાવ નક્કી કર્યા હતા પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ સ્થાનિક સ્તરે ભાવ નિયંત્રણમાં રહે તે માટે નિકાસકારો માટે નિયમો કડક કરવામાં આવ્યા હતા. સ્થાનિક બજારમાં 20 ટકા વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું હતું.

તેથી પણ કામ બન્યું નહીં એટલે તેઓએ કુલ ઉત્પાદનના 30 ટકા સ્થાનિક ઉપયોગ માટે વેચવાની ફરજ પાડી હતી. પછી એવી આશંકા હતી કે તે હવે નિકાસ પર પ્રતિબંધ મૂકશે. આ અનુમાન સાચું નીકળ્યું. ઈન્ડોનેશિયાના નિર્ણય બાદ ભારતના બજારોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂર્યમુખી અને સોયાબીન પર કટોકટી

ઠક્કરે કહ્યું કે ભારત સરકાર યુક્રેન અને રશિયા પાસેથી સૂર્યમુખી તેલની આયાત કરે છે. પરંતુ આ બંને દેશોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સૂર્યમુખીની આવકમાં ઘણો ઘટાડો થયો છે. જ્યારે યુએસ, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ તમામ સંજોગો ખાદ્યતેલોના ભાવ વધુ મોંઘા થવા તરફ ઈશારો કરી રહ્યા છે. સંગઠને સરકારને ઘઉં, ચોખા જેવા ખાદ્ય તેલનો બફર સ્ટોક રાખવાનું સૂચન કર્યું હતું. જો આનો સમયસર અમલ કરવામાં આવ્યો હોત તો ઈન્ડોનેશિયાના નિર્ણયની બહુ અસર થઈ ન હોત.

આ પણ વાંચોઃ ઊંઝા માર્કેટયાર્ડ ફરી વિવાદમાં સપડાયું, સિક્યોરિટીમાં એક કરોડનું કૌભાંડ અને ડિરેક્ટરના દીકરાને ખોટી રીતે લાભ આપ્યાનો આક્ષેપ

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને સજા માટે આજે બચાવ અને ફરિયાદી પક્ષના વકીલ વચ્ચે થશે દલીલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો