
ભારત દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડમાં 51% હિસ્સો ખરીદવાનો નિર્ણય એ માત્ર આર્થિક રોકાણ નથી પરંતુ ‘ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિને સીધો પડકાર આપવાની ભારતની સુનિયોજિત વ્યુહરચનાનો એક ભાગ છે. ભારત હવે શ્રીલંકાના રસ્તે ચીનને ઘેરવાની તૈયારી કરી રહ્યુ છે અને આ હિલચાલથી હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ ફરી એકવાર સ્થાપિત થઈ રહ્યો છે.
ચીન છેલ્લા ઘણા સમયથી ભારતને સમુદ્રી માર્ગે ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યૂહરચના હેઠળ ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, જિબૂતીમાં મિલિટરી બેઝ અને શ્રીલંકામાં હંબનટોટા પોર્ટ પર પોતાનું નિયંત્રણ જમાવ્યું છે. ખાસ કરીને શ્રીલંકાના દક્ષિણમાં આવેલું હંબનટોટા પોર્ટ જ્યારે શ્રીલંકા- ચીનનું દેવું ન ચૂકવી ન શક્યું તો વર્ષ 2021માં ચીને તેને 100 વર્ષની લીઝ પર લઈ લીધું હતું. આ ભારત માટે ચિંતાનો વિષય હતો કારણ કે ચીન અહીંથી ભારતની સૈન્ય હિલચાલ અને મિસાઈલ પરીક્ષણો પર નજર રાખવા માટે પોતાના જાસૂસી જહાજો મોકલી રહ્યું હતું. ભારતની સરહદની આટલી નજીક ચીની જહાજોની હાજરી ભારતની સુરક્ષા માટે મોટો ખતરો હતી.
ચીનના સ્પાય શિપ્સના પડકારોનો સામનો કરવા માટે માટે ભારતની મઝગાંવ ડોક શિપબિલ્ડિંગ લિમિટેડે શ્રીલંકાના કોલંબો પોર્ટમાં આવેલી કોલંબો ડોકયાર્ડ PLCમાં 51% હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ આશરે 26.8 મિલિયન ડોલર એટલે કે 249.5 કરોડ રૂપિયામાં થઈ છે. આપને જણાવી દઈકે મજગાંવ ડોક એ એક સરકારી કંપની છે અને એક સરકારી કંપની દ્વારા શ્રીલંકાની સરકારી કંપનીમાં કરવામાં આવેલું રોકાણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત થતા દ્વિપક્ષીય સંબંધોને દર્શાવે છે.
ભારતનું શ્રીલંકામાં આ પગલું ચીનની વિસ્તારવાદી નીતિ સામે એક મજબૂત કિલ્લા સમાન છે. કોલંબો ડોકયાર્ડમાં ભારતનું નિયંત્રણ આવવાથી હવે ચીની જહાજોની ગતિવિધિઓ પર નજર રાખવી ભારત માટે સરળ બનશે. મઝગાંવ ડોકની આ ઐતિહાસિક ડીલ ભારતને માત્ર સમુદ્રી શક્તિ તરીકે જ નહીં, પરંતુ એક વૈશ્વિક નેતા તરીકે પણ સ્થાપિત કરશે જે પોતાના પડોશી દેશોના વિકાસની સાથે પોતાની સુરક્ષાનું પણ પૂરતો કટિબદ્ધ છે. હિંદ મહાસાગરમાં હવે ભારતની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત અને પ્રભાવશાળી બની છે.
9 એપ્રિલ 2026ના રોજ આ ડીલ ફરીથી ચર્ચામાં આવી છે જ્યારે આ એક્વિઝિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને કંપનીનું બોર્ડ ફરીથી ગઠિત કરવામાં આવ્યું, જેમાં હવે ભારતનું વર્ચસ્વ રહેશે. મઝગાંવ ડોક એ ભારતની સંરક્ષણ મંત્રાલય હેઠળની એક પ્રતિષ્ઠિત PSU પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ અને નવરત્ન કંપની છે, જે ભારતીય નૌકાદળ માટે સબમરીન, ડિસ્ટ્રોયર્સ અને યુદ્ધ જહાજો બનાવવાનું કામ કરે છે. આ કંપની પાસે એકસાથે 11 સબમરીન અને 10 યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા છે. આ ભારતની કોઈ પણ કંપની દ્વારા વિદેશમાં કરવામાં આવેલું પહેલું મોટું ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. આ ડીલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગવર્નમેન્ટ ટુ ગવર્નેમેન્ટ (G2G) વચ્ચેનું રોકાણ છે, જે ભારત અને શ્રીલંકાના સંબંધોમાં વિશ્વાસનું નવું આયામ પ્રસ્થાપિત કરશે.
કોલંબો પોર્ટ શ્રીલંકાનું સૌથી મહત્વનું પોર્ટ છે, જે ભારત માટે મુંબઈ પોર્ટ જેટલું જ મહત્વ ધરાવે છે. ભારતનું લગભગ 60% ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો કોલંબો પોર્ટ દ્વારા અવરજવર કરે છે. કોલંબો ડોકયાર્ડ એ આ પોર્ટનું એક પ્રકારનું ‘સર્વિસ સ્ટેશન’ છે, જ્યાં જહાજોનું સમારકામ, પુનઃનિર્માણ અને શિપ બ્રેકિંગનું કામ કરવામાં આવે છે. આ ડોકયાર્ડ 1,25,000 ડેડ વેટ ટન (DWT) સુધીના જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પહેલા ત્યાં જાપાની કંપની ‘ઓનોમીથી ડોકયાર્ડ’ 1993થી કાર્યરત હતી, પરંતુ તે નુકસાનમાં જતા શ્રીલંકાએ ભારતને અહીં રોકાણ કરવા વિનંતી કરી હતી. ભારતે આ તકનો ઉપયોગ માત્ર આર્થિક લાભ માટે નહીં, પણ વ્યૂહાત્મક રીતે ચીનને હંફાવવા માટે કર્યો છે. ભારતે સ્વીકાર્યું છે કે વર્ષ 2000ની આસપાસ જ્યારે હંબનટોટા પોર્ટનો પ્રોજેક્ટ ભારતને ઓફર થયો હતો, ત્યારે ભારતે તેને ગંભીરતાથી ન લીધો અને તે ચીનના હાથમાં જતો રહ્યો. પરંતુ હવે ભારત ‘મેરિટાઇમ અમૃતકાળ વિઝન 2047’ ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યું છે. આ વિઝન હેઠળ ભારત સમુદ્રી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કોલંબો પોર્ટના વેસ્ટર્ન ટર્મિનલના વિકાસમાં પણ અદાણી ગ્રુપ દ્વારા 2021માં મોટું રોકાણ કરવામાં આવ્યું છે, જે હવે મઝગાંવ ડોકની ડીલથી વધુ મજબૂત બનશે.
શ્રીલંકાએ ખુદ ભારતને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે વિનંતી કરી હતી, જે દર્શાવે છે કે ચીનની દેવાની જાળ (Debt Trap) થી પરેશાન શ્રીલંકા હવે ભારતને એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે જુએ છે. આ ડીલ દ્વારા ભારતને 52 વર્ષ સુધી કોલંબો ડોકયાર્ડના સંચાલન અને નિયંત્રણનો અધિકાર મળ્યો છે, જે ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને સુરક્ષિત કરે .
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ સોદાને એક પાર્ટનરશિપ ગણાવ્યો છે, જે ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ પોલિસીનો ભાગ છે. આ રોકાણથી ભારતીય કંપનીઓના સ્ટોક્સમાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. મઝગાંવ ડોકનો સ્ટોક એક મહિનામાં 12.64% જેટલો વધ્યો છે, જે રોકાણકારોનો આ ડીલ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે.
આર્થિક મોરચે પણ આ સોદો ભારત માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. મઝગાંવ ડોકના શેરમાં જોવા મળતો ઉછાળો, ખાસ કરીને એક મહિનામાં 12.64% નો વધારો, રોકાણકારોના આ ડીલ પ્રત્યેના સકારાત્મક વલણને દર્શાવે છે. ભારત હવે તેના ‘મેરિટાઇમ અમૃતકાળ વિઝન 2047’ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ભારતનો ઉદ્દેશ્ય વૈશ્વિક શિપ રિપેરિંગ અને નિર્માણ માર્કેટમાં અગ્રેસર બનવાનો છે. આ રીતે, કોલંબો ડોકયાર્ડની આ ડીલ ભારતની સુરક્ષા, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ ત્રણેય ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સમી સાબિત થઈ છે.