દેશમાં હવે ફક્ત ચાર જાહેર ક્ષેત્રની બેંકો જ રહેશે ? સરકારની મેગા મર્જર યોજના અંગે મોટી અપડેટ

કેન્દ્ર સરકાર 2027 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 12 થી ઘટાડીને માત્ર ચાર કરવાની યોજના બનાવી રહી છે. આ એકીકરણનો હેતુ બેંકોની બેલેન્સ શીટ મજબૂત બનાવવી, કાર્યક્ષમતા વધારવી અને ભારતીય બેંકિંગ સિસ્ટમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.

દેશમાં હવે ફક્ત ચાર જાહેર ક્ષેત્રની બેંકો જ રહેશે ? સરકારની મેગા મર્જર યોજના અંગે મોટી અપડેટ
| Updated on: Dec 01, 2025 | 3:57 PM

દેશની જાહેર ક્ષેત્રની બેંકોને લઈને કેન્દ્ર સરકારે ફરી એક વખત મોટા એકીકરણની યોજના પર કામ શરૂ કર્યું છે. મીડિયા અહેવાલો મુજબ, સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા હાલની 12 થી ઘટાડીને માત્ર ચાર કરવાની યોજના બનાવી રહી છે. આ મર્જર પ્લાનનો ઉદ્દેશ્ય બેંકોની બેલેન્સ શીટ મજબૂત બનાવવી, કાર્યક્ષમતા વધારવી અને વૈશ્વિક સ્તરે ભારતીય બેંકિંગ સિસ્ટમને સ્પર્ધાત્મક બનાવવા છે.

કઈ બેંકો બની શકે નવી ચાર મેગા બેંક્સ?

રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ ચાર સંભવિત બેંકિંગ એકમો આ રીતે હોઈ શકે છે:

  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
  • પંજાબ નેશનલ બેંક (PNB)
  • બેંક ઓફ બરોડા (BOB)
  • કેનેરા–યુનિયન બેંક (મર્જર બાદનું નવું એકમ)

સરકારની યોજના અનુસાર નાની અને મધ્યમ કદની બેંકોને આ મોટી બેંકો સાથે મર્જ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં મોટા ധિરાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ અને ખાનગી બેંકો સાથેની સ્પર્ધા વધુ મજબૂત બને.

કેનેરા–યુનિયન બેંક મર્જર સૌથી પહેલું પગલું

સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર કેનેરા બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મર્જર પર સૌથી પહેલા આગળ વધી રહી છે. મર્જર બાદ આ નવું એકમ દેશની ચાર સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં એક બનશે. તે સિવાય ઇન્ડિયન બેંક અને યુકો બેંકને પણ આ માળખામાં સામેલ કરવાની શક્યતા છે.

IOB, CBI, BOI અને BOM કઈ બેંક સાથે મર્જ થશે?

મધ્યમ કદની અન્ય જાહેર ક્ષેત્રની બેંકો માટે સંભવિત મર્જર આ પ્રમાણે હોઈ શકે:

આ બેંકો મર્જ થવાની શક્યતા

બેંકો મર્જ થવાની શક્યતા
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) SBI અથવા PNB
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI) PNB અથવા BOB
બેંક ઓફ ઇન્ડિયા (BOI) SBI અથવા BOB
બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) SBI અથવા PNB

પંજાબ અને સિંધ બેંક અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ સરકાર તેને પણ આ ચાર મોટા એકમોમાંથી કોઈ એક સાથે મર્જ કરી શકે છે.

મર્જરને મંજૂરી માટે કઈ પ્રક્રિયા થશે?

આ પ્રસ્તાવને આગળ વધારવા માટે નીચેની ચકાસણીઓ થશે:

  • નાણામંત્રીની મંજૂરી
  • કેબિનેટ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા
  • પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા ચકાસણી
  • બજાર પરના અસરને ધ્યાનમાં રાખીને SEBIના નિયમનકારી અભિપ્રાયો
  • સરકાર તબક્કાવાર રીતે પ્રક્રિયા આગળ વધારી શકે છે અને મંજૂરી મળ્યા બાદ જ સત્તાવાર જાહેરાત થશે.

મર્જરનો લાભ શું મળે?

  • સરકાર માને છે કે આ એકીકરણથી
  • બેંકોની મૂડીક્ષમતામાં વધારો થશે
  • મોટી લોન પૂરી પાડવાની ક્ષમતામાં વધારો થશે
  • શાખાઓ અને ઓપરેશન્સનું માર્ગીકરણ થશે
  • ખર્ચમાં ઘટાડો થશે
  • ખાનગી બેંકો સામે સ્પર્ધા વધી શકશે

આગામી વર્ષોમાં ઝડપી આર્થિક વૃદ્ધિના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ મર્જર કદાચ ભારતના બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતી આધારે ફક્ત આપની જાણકારી માટે છે. હજી સરકાર તરફથી આપવામાં આવનાર માહિતી ફાયનલ ગણાશે..   

FD કરતા વધુ ફાયદાકારક છે આ સરકારી યોજનાઓ, જાણો આખું ગણિત