
આ ઇન્ડિયા-યુકે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) લાગુ થવાથી બંને દેશોના વેપાર વ્યવસ્થામાં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. આ કરાર હેઠળ બ્રિટનથી ભારત આવતી પ્રખ્યાત પ્રોડક્ટ્સ જેવી કે સ્કૉચ વ્હિસ્કી, જીન, વિદેશી ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ ખૂબ જ સસ્તા થઈ શકે છે. તેની સામે, ભારતના નિકાસકારોને પણ બ્રિટનના બજારમાં લગભગ 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ મહત્વપૂર્ણ કરાર પર 24 જુલાઈ 2025ના રોજ અંતિમ મહોર મારવામાં આવી હતી. આ લાંબા ગાળાના સોદાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
આ કરાર અંતર્ગત બ્રિટન ભારતના ઉત્પાદનો માટે અંદાજે 99 ટકા ટેરિફ લાઇન્સ પરથી આયાત વેરો સંપૂર્ણપણે નાબૂદ કરશે. આ ફેરફારનો સીધો ફાયદો ભારતના સમગ્ર એક્સપોર્ટ સેક્ટરને મળશે. આ સમજૂતીથી દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ (કાપડ ઉદ્યોગ), દરિયાઈ ઉત્પાદનો (સી-ફૂડ), ચામડું (લેધર), ફૂટવેર, રમકડાં, સ્પોર્ટ્સ ગુડ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી (હીરા-ઝવેરાત) ને બ્રિટિશ બજારમાં મોટો ઉછાળો મળશે.
આ સિવાય ભારતમાં બનેલા એન્જિનિયરિંગ સામાન, ઓટો પાર્ટ્સ, એન્જિન અને ઓર્ગેનિક કેમિકલ્સ જેવા પ્રોડક્ટ્સને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્લેટફોર્મ મળશે. આનાથી ભારતીય કંપનીઓ વૈશ્વિક બજારમાં એવા દેશો સામે વધુ મજબૂતાઈથી હરીફાઈ કરી શકશે, જેમને બ્રિટન તરફથી પહેલેથી જ વેપારી છૂટછાટો મળી રહી છે.
બ્રિટનની જેમ ભારત પણ તેના આશરે 90 ટકા ટેરિફ લાઇન્સ પર આયાત વેરો ઘટાડશે અથવા નાબૂદ કરશે. જેમાંથી 85 ટકા પ્રોડક્ટ્સ પર આગામી 10 વર્ષમાં તબક્કાવાર રીતે ઝીરો ડ્યુટી વ્યવસ્થા લાગુ થઈ જશે. બ્રિટનની પ્રખ્યાત વ્હિસ્કી અને જીન બનાવતી કંપનીઓને આનાથી મોટો નફો થશે. હાલમાં વિદેશી વ્હિસ્કી પર ભારતમાં 150 ટકા જેટલી ઊંચી ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે, જેને શરૂઆતમાં ઘટાડીને 75 ટકા કરવામાં આવશે અને આગામી 10 વર્ષમાં તે ઘટીને માત્ર 40 ટકા રહી જશે.
આ ઉપરાંત બ્રિટનથી ઈમ્પોર્ટ થતી લક્ઝરી કાર પર લાગતો ટેક્સ પણ ધીમે-ધીમે ઓછો કરાશે. જો કે, ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ અને સ્થાનિક કંપનીઓ પર અચાનક આર્થિક દબાણ ન આવે તે માટે કારની આયાત માટે એક ચોક્કસ કોટા નક્કી કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને બ્રિટન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં બંને દેશો વચ્ચેનો કુલ મર્ચેન્ડાઇઝ ટ્રેડ વધીને 25.13 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે, જે વર્ષ 2024-25માં 23.13 બિલિયન ડોલર હતો. આ સમયગાળા દરમિયાન ભારતની નિકાસ 13.44 બિલિયન ડોલર રહી છે, જ્યારે બ્રિટનથી આયાત વધીને 11.68 બિલિયન ડોલર થઈ છે. બ્રિટન સરકારના અંદાજ મુજબ, આ કરાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી લાંબા ગાળે બંને દેશો વચ્ચેના વેપારમાં અંદાજે 25.5 બિલિયન પાઉન્ડનો તોતિંગ વધારો થઈ શકે છે.
મોટી જાહેરાતો વચ્ચે ભારતે પોતાના ખેડૂતો અને સ્થાનિક બજારના હિતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. ભારતીય કૃષિ ક્ષેત્રને વિદેશી આયાતના જોખમથી બચાવવા માટે ડેરી પ્રોડક્ટ્સ, સફરજન, ખાંડ, ચોખા, પોર્ક, ચિકન અને ઈંડા જેવી સંવેદનશીલ કૃષિ સામગ્રીઓને આ કરારની છૂટછાટોમાંથી બહાર રાખવામાં આવી છે. આ વસ્તુઓ પર આયાતના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે જેથી ગ્રામીણ અર્થવ્યવસ્થા સુરક્ષિત રહે.
આ મુક્ત વ્યાપાર કરારની સાથે જ ‘ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન’ પણ લાગુ કરવામાં આવ્યું છે. આનાથી બ્રિટનમાં નોકરી કરતા ભારતીય આઈટી અને અન્ય પ્રોફેશનલ્સને બંને દેશોમાં એકસાથે સોશિયલ સિક્યોરિટી ફંડ ચૂકવવામાંથી મોટી મુક્તિ મળશે. અગાઉ કર્મચારીઓની કમાણીનો એક મોટો હિસ્સો બ્રિટનની સોશિયલ સિક્યોરિટી સિસ્ટમમાં જતો હતો, જે હવે બચી જશે અને તે રકમ ભારતમાં તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા કરાવી શકાશે.
ઇન્ડિયા-યુકે CETA કરારમાં કુલ 30 પ્રકરણો સામેલ છે. તે માત્ર માલસામાનની લેવડદેવડ પૂરતો સીમિત નથી, પરંતુ ડિજિટલ ટ્રેડ, ટેલિકોમ્યુનિકેશન, બૌદ્ધિક સંપદા (IP), સરકારી ટેન્ડરોની ખરીદી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા આધુનિક વિષયો પર પણ પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકે છે. જો કે, સ્ટીલની નિકાસ અને બ્રિટનના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ (CBAM) જેવા જટિલ મુદ્દાઓ પર ભારતીય નિકાસકારો હજુ પણ વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.