કોરોના સમયગાળામાં લોકોએ જાણ્યું કે બચત કેટલી જરૂરી છે. જ્યારે પણ કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલી આવે છે ત્યારે આપણી બચત જ આપણને મદદરૂપ થાય છે. એટલા માટે લોકો ઘણીવાર જુદી-જુદી બચત યોજનાઓમાં રોકાણ કરે છે. આ સ્કીમ તમને તમારું બેંક બેલેન્સ મજબૂત કરવામાં મદદ કરે છે. યોગ્ય સ્કીમની પસંદગી કરી તેમાં રોકાણ કરવામાં આવે તો ભવિષ્યમાં તમને સારું વળતર મળે છે.
આ બધી સ્કીમમાં સરકારી યોજનાઓમાં રિસ્ક ઓછું હોય છે. આજે આપણે પોસ્ટ ઓફિસની માસિક ઈન્કમ સ્કીમ વિશે જાણીશું, જેમાં રોકાણ દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમ મળે છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક સ્કીમમાં દર મહિને વ્યાજ મળે છે. આ સ્કીમમાં નિશ્ચિત રકમનું રોકાણ કરીને, તમે દર મહિને વ્યાજના રૂપમાં નિયમિત આવક મેળવી શકો છો. જાન્યુઆરી-માર્ચ 2023 માટે વ્યાજ દર 7.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ તે સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજ દરો પર આધારિત છે.
આ સ્કીમમાં રોકાણ કરાયેલી રકમ માટે લોક ઈન પિરિયડ પાંચ વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે 5 વર્ષ બાદ તમે રકમ ઉપાડી શકો છો. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષના બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે આ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા સિંગલ એકાઉન્ટ માટે 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈન્ટ એકાઉન્ટ માટે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
આ પણ વાંચો : આ IPO માં શેરનો ભાવ 100 રૂપિયાથી ઓછો, રોકાણકારોને મળી શકે 100 ટકાથી વધારે રિટર્ન
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં નવી રોકાણ મર્યાદા સાથે, સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. 15 લાખ રૂપિયાના રોકાણ પર અંદાજે 9,000 રૂપિયાની માસિક આવક મેળવી શકાય છે. આ આવક તમામ સંયુક્ત ખાતાધારકો વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 મહિના બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.
એક ખાતા માટે 9 લાખ રૂપિયાના રોકાણ પર માસિક વ્યાજની આવક લગભગ 5,325 રૂપિયા હશે, જ્યારે સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાના રોકાણ પર, માસિક વ્યાજની આવક 8,875 રૂપિયા થઈ શકે છે.