
ઇથેનોલ પુરવઠા અને ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે 2025-26ના નાણાકીય વર્ષ માટે પહેલેથી નક્કી કરવામાં આવેલી ઇથેનોલ ફાળવણીમાં હાલ કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કર્ણાટક હાઇકોર્ટના તે આદેશ પર પણ સ્ટે મૂક્યો છે, જેમાં ખાનગી ડિસ્ટિલરીને ઇથેનોલ ફાળવણી અંગે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે મંગળવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2025-26 માટે પહેલેથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવેલી ઇથેનોલ ફાળવણીમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને હાલની સપ્લાય વ્યવસ્થા યથાવત રહેશે.
આ પહેલાં કર્ણાટક હાઇકોર્ટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને VINP ડિસ્ટિલરીઝ એન્ડ સુગર્સ પ્રાઇવેટ લિમિટેડની અરજી પર પુનર્વિચાર કરવા અને તેના ઇથેનોલ ક્વોટામાં વધારો કરવાની શક્યતા તપાસવાનો આદેશ આપ્યો હતો. જોકે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર એટર્ની જનરલ આર. વેંકટરામણીએ દલીલ કરી હતી કે જો એક કંપનીની માંગના આધારે ફાળવણીમાં ફેરફાર કરવામાં આવશે તો અન્ય સપ્લાયર્સ પણ સમાન રાહત માટે કોર્ટનો દરવાજો ખખડાવશે. તેનાથી સમગ્ર રાષ્ટ્રીય ઇથેનોલ સપ્લાય નીતિમાં અસ્થિરતા સર્જાઈ શકે છે.
કેન્દ્ર સરકારે કોર્ટને માહિતી આપી હતી કે ઓક્ટોબર 2025થી શરૂ થતા સપ્લાય ચક્ર માટે દેશની 378 ઇથેનોલ સપ્લાય કરતી કંપનીઓને કુલ 1,050 કરોડ લિટર ઇથેનોલનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. આ ફાળવણીના આધારે વિવિધ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ઇથેનોલનો પુરવઠો પહેલેથી જ શરૂ થઈ ચૂક્યો છે.
સુનાવણી દરમિયાન સરકારે E20 પેટ્રોલ નીતિ અંગે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાની E20 નીતિ હજુ અમલીકરણના તબક્કામાં છે અને તેના લાંબા ગાળાના પરિણામોનું મૂલ્યાંકન આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થઈ શકશે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હાલ માટે ઇથેનોલ સપ્લાય વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય અને દેશની વર્તમાન ફાળવણી પ્રક્રિયા યથાવત રહેશે.
મુંબઈમાં દુઃખદ અકસ્માત, સ્કૂલ બસ પર ઝાડ પડતાં 10 વર્ષના વિદ્યાર્થીનું મોત, 4 બાળકો ઘાયલ