રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) કહ્યું છે કે ભારતમાં ખરીફ તેમજ રવિ સિઝનની ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે યુરિયાનો (Urea) પૂરતો સ્ટોક છે અને ડિસેમ્બર સુધી તેને આયાત (Import) કરવાની જરૂર રહેશે નહીં. મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો થયો છે અને આગામી છ મહિનામાં તેની કિંમતો વધુ નીચે આવશે તેવી અપેક્ષા છે. માંડવિયાએ સોમવારે કહ્યું હતું કે દેશમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા છે. તેમણે કહ્યું કે ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા અમારી પાસે ડિસેમ્બર સુધી યુરિયાનો સ્ટોક છે. અમારે ડિસેમ્બર સુધી આયાત કરવાની જરૂર નથી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે પહેલેથી જ 16 લાખ ટન યુરિયાની આયાત કરી છે, જે આગામી 45 દિવસમાં મોકલવામાં આવશે.
ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના કિસ્સામાં માંડવિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદન તેમજ લાંબા ગાળાની આયાત વ્યવસ્થા ડિસેમ્બર સુધીમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતી હશે. મંત્રીએ કહ્યું કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારે વ્યાજબી દરે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સબસિડીમાં વધારો કર્યો છે.
ખરીફ (ઉનાળુ વાવણી) સીઝન શરૂ થઈ ગઈ છે. જ્યારે રવિ પાકની વાવણી ઓક્ટોબરમાં શરૂ થાય છે. ખાતર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારો પાસે હાલમાં 70 લાખ ટન યુરિયાનો સ્ટોક છે, જ્યારે 16 લાખ ટન યુરિયાની આયાત કરવામાં આવી રહી છે અને ડિસેમ્બર સુધીમાં 175 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે બરૌની અને સિન્દ્રી ખાતેના બે નવા પ્લાન્ટમાંથી છ લાખ ટન યુરિયા ઉપલબ્ધ થશે, જે ઓક્ટોબરમાં કાર્યરત થશે અને અન્ય 20 લાખ ટન પરંપરાગત યુરિયાના વપરાશને પ્રવાહી નેનો યુરિયા દ્વારા બદલવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે જૂન અને ડિસેમ્બર દરમિયાન યુરિયાની કુલ ઉપલબ્ધતા 287 લાખ ટન હોવાનો અંદાજ છે, જ્યારે માંગ 210 લાખ ટન રહેવાનો અંદાજ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની યુરિયાની આયાત ગત નાણાકીય વર્ષમાં ઘટીને 77 લાખ ટન થઈ છે, જે 2020-21માં 98 લાખ ટન હતી.
અધિકારીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં આયાત ઘટીને 60 લાખ ટનની આસપાસ આવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ 15 લાખ ટન યુરિયાની આયાત કરવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં 16 લાખ ટન વધુ યુરિયાની આયાત કરવામાં આવશે. સરકારે જોર્ડન સાથે લાંબા ગાળાના કરાર પણ કર્યો છે.