આઈટીઆર-1 ફોર્મ (ITR-1) ઘણા લોકો ભરે છે. આ ફોર્મમાં ઘણી વિગતો છે, જેને સમજવાની જરૂર છે. જો તમે સમજ્યા વગર ફોર્મ ભરો તો ભૂલ થવાનો અવકાશ છે. તેનાથી નોટિસ મળવાનું જોખમ વધી જાય છે. આમાં એ જાણવું પણ જરૂરી છે કે કોણ આ ફોર્મ ભરી શકે છે અને કોણ નહીં. આ ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તેમના વિશે પણ જાણવું અને સમજવું મહત્વપૂર્ણ છે. ITR ફોર્મ-1ને સહજ કહેવામાં આવે છે, જે નાના અને મધ્યમ કરદાતાઓ દ્વારા ભરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પગાર, મકાન ભાડું અથવા અન્ય સ્ત્રોતોમાંથી એક વર્ષમાં 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તો તે સહજ ફોર્મ એટલે કે ITR-1 દ્વારા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકે છે.
ચાલો હવે જાણીએ કે કોણ ITR-1 ફોર્મ ભરી શકતું નથી. આવકવેરા વિભાગે કેટલાક ફેરફારો કર્યા છે અને જણાવ્યું છે કે કોણ આ ફોર્મ ભરી શકે છે અને કોણ નહીં. ઈન્કમટેક્સ અનુસાર કોઈપણ બિન-નિવાસી ભારતીય (NRI) આ ફોર્મ ભરી શકશે નહીં. જેમની કુલ આવક 50 લાખથી વધુ છે, તેઓ પણ સહજ અથવા ITR-1 ફોર્મ ભરી શકતા નથી. જેઓ 5000 રૂપિયાથી વધુની કૃષિ આવક ધરાવતા હોય, જેઓ લોટરી, રેસ કોર્સ, કાયદેસરના જુગારમાંથી આવક મેળવતા હોય તેઓ પણ આ ફોર્મ ભરી શકશે નહીં.
જે વ્યક્તિએ લિસ્ટેડ ઈક્વિટી શેર્સમાં રોકાણ કર્યું છે, વ્યવસાય અથવા કારોબાર કરતું હોય, કોઈ કંપનીના ડિરેક્ટર હોય, આવકવેરા કાયદાની કલમ 194N હેઠળ કર કાપવામાં આવતો હોય, એક કરતાં વધુ ઘર ધરાવનાર અને તેમાંથી ભાડું મેળવનાર વ્યક્તિ ITR-1 હેઠળ આવશે નહીં. આ શ્રેણીમાં આવતી વ્યક્તિ ITR-1 અથવા સહજ ફોર્મ ભરી શકતી નથી.
આકારણી વર્ષ 2021-22 માટે ITR-1માં ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં એક નવું સેક્શન 115BAC ઉમેરવામાં આવ્યું છે. આ ફેરફાર મુજબ જો તમે કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થા પસંદ કરો છો તો પછી નવા ITR ફોર્મમાં હા પસંદ કરો, નહીં તો તમારે ના પસંદ કરવાનું રહેશે. ધ્યાનમાં રાખો કે કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થાનો વિકલ્પ કલમ 139(1) હેઠળ ITR ફાઈલ કરવાની નિયત તારીખ સુધી જ ઉપલબ્ધ રહેશે.
Published On - 9:57 pm, Sun, 19 June 22