વિશ્વભરના આર્થિક અને રાજકીય બદલાવ વચ્ચે ભારતે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. દેશનું સોનું, જે દાયકાઓથી લંડન અને ન્યુ યોર્ક જેવી વૈશ્વિક નાણાકીય રાજધાનીઓની તિજોરીઓમાં રાખવામાં આવતું હતું, હવે ઝડપથી પાછું ભારત લાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણય માત્ર નાણાકીય વ્યવસ્થાપન પૂરતો સીમિત નથી, પરંતુ રાષ્ટ્રની આર્થિક સુરક્ષા અને સ્વાયત્તતા મજબૂત બનાવવા માટેની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ છે.
તિજોરી બદલવાનું વાસ્તવિક કારણ શું છે?
રિના તાજેતરના અહેવાલ અનુસાર, દેશમાં હાલ કુલ 880.52 મેટ્રિક ટન સોનાનો જથ્થો છે, જેમાંથી લગભગ 77 ટકા, એટલે કે અંદાજે 680 ટન સોનું હવે ભારતની અંદર જ સંગ્રહિત છે. છેલ્લા છ મહિનામાં જ 104 ટનથી વધુ સોનું વિદેશમાંથી પરત લાવવામાં આવ્યું છે, જે આ અભિયાનની ઝડપ અને ગંભીરતા દર્શાવે છે. માર્ચ 2023 સુધી ભારતમાં ફક્ત 37 ટકા સોનું જ હતું, એટલે કે આ દિશામાં મોટા પાયે ફેરફાર થયો છે.
વિદેશી સંપત્તિઓ શા માટે જોખમમાં છે?
આ પગલાં પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક અનિશ્ચિતતા છે. રશિયા-યુક્રેન વોર અને અન્ય આંતરરાષ્ટ્રીય તણાવોએ બતાવ્યું છે કે વિદેશી તિજોરીઓમાં રાખેલી સંપત્તિ રાજકીય નિર્ણયો સામે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. આવી પરિસ્થિતિમાં, પોતાના સોનાને દેશમાં જ રાખવું એક પ્રકારનું “વ્યૂહાત્મક વીમો” માનવામાં આવે છે, જે કટોકટીના સમયમાં તરલતા અને નિયંત્રણ બંને સુનિશ્ચિત કરે છે.
ઇતિહાસ મુજબ Bank of England અને Federal Reserve Bank of New York જેવી સંસ્થાઓ સોનાના વૈશ્વિક સંગ્રહ માટે જાણીતી રહી છે. પરંતુ હવે માત્ર ભારત જ નહીં, અન્ય દેશો પણ તેમની વ્યૂહરચના બદલી રહ્યા છે. ફ્રાન્સે પોતાનું સોનું પેરિસમાં ખસેડ્યું છે, જ્યારે જર્મનીએ પણ મોટા પ્રમાણમાં સોનું પરત લાવ્યું છે. પોલેન્ડ અને ચેક રિપબ્લિક જેવા દેશો પણ આ મુદ્દે સંતુલિત અભિગમ અપનાવી રહ્યા છે.
આ રીતે, ભારતનો આ નિર્ણય વૈશ્વિક પ્રવાહનો જ એક ભાગ છે, જેમાં દેશો પોતાની આર્થિક સંપત્તિઓ પર સીધું નિયંત્રણ વધારવા અને બાહ્ય જોખમોથી બચવા માટે વધુ સાવચેત બની રહ્યા છે. “આપણું સોનું, આપણી તિજોરી” હવે માત્ર નારો નહીં, પરંતુ એક મજબૂત આર્થિક નીતિ બની ગઈ છે.
આ પણ વાંચો- જૂનાગઢથી આઈપીએલ 2026માં પહોંચેલા ક્રેન્સ ફુલેટ્રાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો