5G સ્પેક્ટ્રમની (5G spectrum) હરાજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ હરાજી શરૂ થતા પહેલા એક નામ સામે આવ્યું, જેના પછી બિઝનેસ જગતમાં હલચલ મચી ગઈ. મુકેશ અંબાણી ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોનું (Reliance Jio) સંચાલન કરે છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી 5G હરાજીમાં પ્રવેશ્યા છે. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ વચ્ચે રસપ્રદ હરીફાઈ જોવા મળશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જ્યારે મુકેશ અંબાણી ભારતની બહાર અન્ય દેશોમાં તેમનો ટેલિકોમ બિઝનેસ વિસ્તારવા માટે વિકલ્પો શોધી રહ્યા હતા, ત્યારે એવા અહેવાલ હતા કે ગૌતમ અદાણી (Gautam Adani) પણ સ્પેક્ટ્રમ ખરીદશે.
ગૌતમ અદાણીએ હાલમાં ટેલિકોમ સેક્ટરમાં આવવાની ના પાડી દીધી છે. તેની પાસે વાયરલેસ ટેલિકોમ્યુનિકેશનનું લાઇસન્સ પણ નથી. જોકે, અંબાણીના સલાહકારો એ વાતને નકારી રહ્યા નથી કે અદાણી આવનારા સમયમાં વાયરલેસ સેવામાં પ્રવેશ લઈ શકે છે. કેટલાક સહકર્મીઓની સલાહ છે કે રિલાયન્સ જિયોએ ભારતની બહાર અન્ય દેશોમાં પોતાના માટે બજારો શોધવી જોઈએ. કેટલાક લોકો એવું પણ કહે છે કે કંપનીએ આવનારા સમયમાં ટેલિકોમ બિઝનેસના સંભવિત પડકારો માટે ફંડ એકત્ર કરવું જોઈએ.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી 118 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી 89.6 અબજ ડોલર સાથે 11મા સ્થાને છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 41.8 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે અને તેઓ આ મામલે વિશ્વમાં નંબર વન છે. બદલાતી પરિસ્થિતિ વચ્ચે મુકેશ અંબાણીએ ચતુરાઈ પુર્વક Jioના બિઝનેસને અત્યાર સુધી ભારતમાં જ રાખ્યો છે.
મુંબઈ સ્થિત ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ KRISના સ્થાપક અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે અંબાણી અને અદાણી વચ્ચેની સ્પર્ધા વધુ તેજ બનશે. અંતે, વિજેતા તે હશે જે સૌથી વધુ ફિટ હશે. 9 જુલાઈના રોજ, અદાણી જૂથ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તે કન્ઝ્યુમર મોબાઈલ સ્પેસમાં પ્રવેશ કરશે નહીં. જો કે બજાર ગરમ છે કે આગામી દિવસોમાં અદાણી ગ્રુપ પણ કન્ઝ્યુમર મોબાઈલ માર્કેટમાં પ્રવેશ કરે.
અત્યાર સુધી અદાણી ગ્રૂપનો બિઝનેસ પોર્ટ, કોલ માઈનિંગ, શિપિંગને લગતો હતો. અંબાણીએ પેટ્રોકેમિકલ્સમાં રોકાણ કર્યું છે. બંને દિગ્ગજ પોતપોતાના ક્ષેત્રના માસ્ટર છે. હવે આ બંને બિઝનેસ હાઉસ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાવા લાગી છે. થોડા મહિનાઓ પહેલા, અંબાણીએ સાઉદી અરેબિયાની અરામકોને તેમના ઉર્જા વ્યવસાયનો 20 ટકા વેચાણ કરવાનો ઇનકાર કર્યો હતો. તેની જાહેરાત 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી. રિલાયન્સની આવકમાં ક્રૂડ ઓઈલનો મોટો ફાળો છે. આ ડીલ રદ્દ થયાના થોડા દિવસો બાદ સમાચાર આવ્યા કે અદાણી ગ્રુપ અરામકો સાથે વાતચીત કરી રહ્યું છે.