
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 420 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના મામલામાં બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કાળા નાણાં અધિનિયમ (Black Money Act) ની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતી અનિલ અંબાણીની અરજી પર બોમ્બે હાઈકોર્ટે તેમને ટેક્સ ચોરીના મામલામાં પ્રોસિક્યુશન અને દંડ જેવી કાર્યવાહીમાંથી વચગાળાની રાહત આપી દીધી છે.
અનિલ અંબાણીએ પોતાની અરજીમાં જણાવ્યું કે, અઘોષિત વિદેશી આવક અને અસ્કયામતો (Undeclared foreign income and assets) તથા કર લાદવા અંગેનો અધિનિયમ, 2015ની કેટલીક જોગવાઈઓ બંધારણના ‘અલ્ટ્રા વાયર્સ’ (એટલે કે બંધારણના અધિકાર ક્ષેત્રની બહાર/વિરોધી) છે.
જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદોસ પૂનીવાલાની બેન્ચે મંગળવારે અનિલ અંબાણીની અરજીનો સ્વીકાર કરતા કહ્યું કે, આ કાયદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અન્ય અરજીઓ પણ પેન્ડિંગ છે. આના પર અંતિમ સુનાવણી યોગ્ય સમયે કરવામાં આવશે.
કોર્ટે કેન્દ્ર સરકારને આ અરજી પર જવાબ દાખલ કરવા માટે એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, અનિલ અંબાણી વિરુદ્ધ પહેલાથી જ એસેસમેન્ટ ઓર્ડર (આકારણી આદેશ) પસાર થઈ ચૂક્યો છે અને તેમણે ઇન્કમ ટેક્સ કમિશનર (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરી છે.
કોર્ટે કહ્યું, ‘અપીલ આગળ વધી શકે છે અને તેના પર આદેશો પસાર કરી શકાય છે. જો કે, આ રિટ પિટિશનની સુનાવણી અને અંતિમ નિકાલ સુધી અરજદાર વિરુદ્ધ પ્રોસિક્યુશન તેમજ દંડ સહિતની કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.’
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 8 ઓગસ્ટ, 2022ના રોજ અનિલ અંબાણીને નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો હતો કે, તેમણે સ્વિટ્ઝર્લેન્ડના બે બેંક ખાતાઓમાં રાખેલા 814 કરોડ રૂપિયાથી વધુના અઘોષિત નાણાં પર 420 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે.
ટેક્સ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ બંને ખાતાઓમાં અઘોષિત નાણાંનું કુલ મૂલ્ય 8,14,27,95,784 રૂપિયા આંકવામાં આવ્યું છે અને તેના પર ચૂકવવાપાત્ર ટેક્સ 4,20,29,04,040 રૂપિયા છે. વિભાગની નોટિસ મુજબ, અંબાણી પર કાળા નાણાં કાયદાની કલમ 50 અને 51 હેઠળ કેસ ચલાવી શકાય છે. આમાં મહત્તમ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અંબાણી પર ‘જાણીજોઈને’ ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, તેમણે વિદેશી બેંક ખાતાઓ અને નાણાકીય હિતોની વિગતો ભારતીય ટેક્સ સત્તાવાળાઓને ‘જાણીજોઈને’ આપી ન હતી.
અંબાણીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, કાળા નાણાંનો કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જ્યારે કથિત વ્યવહારો આકારણી વર્ષ 2006-07 અને 2010-11 સાથે જોડાયેલા છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, આ કાયદાની જોગવાઈઓને ભૂતકાળની અસરથી (રેટ્રોસ્પેક્ટિવલી) લાગુ કરી શકાય નહીં.