Diwali 2021: દિવાળી પર થશે 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ! વેપારી સંગઠનનું અનુમાન
CAITએ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષના અંતર પછી આ વર્ષે દિલ્હીની સાથે દેશભરમાં દિવાળીનો તહેવાર ઘણો નવો ઉત્સાહ અને તાજગી લઈને આવ્યો છે જે આ હકીકત પરથી સારી રીતે અનુભવી શકાય છે.
Diwali 2021: ગુરૂવારે દિવાળીનો તહેવાર છે. દિવાળી પહેલા દેશભરના બજારોમાં ભીડ જોવા મળી રહી છે. બિઝનેસ ઓર્ગેનાઈઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જણાવ્યું કે આ વખતે દિવાળી પર 1 લાખ કરોડ રૂપિયાના બિઝનેસનો અંદાજ છે. આ સિવાય ડિસેમ્બર સુધીમાં દેશભરના બજારોમાં 3 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.
આવી સ્થિતિમાં બજાર માટે આ ખૂબ જ સારા સમાચાર છે. CAITએ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષના અંતર પછી આ વર્ષે દિલ્હીની સાથે દેશભરમાં દિવાળીનો તહેવાર ઘણો નવો ઉત્સાહ અને તાજગી લઈને આવ્યો છે જે આ હકીકત પરથી સારી રીતે અનુભવી શકાય છે. તેમણે કહ્યું કે છેલ્લા એક સપ્તાહથી દેશભરના બજારોમાં ગ્રાહકોની ભીડ અટકવાનું નામ નથી લઈ રહી. એવું લાગે છે કે લોકો બે વર્ષની બાકી રહેલી ખરીદીની ભરપાઈ આ દિવાળીના તહેવારની ખરીદીથી કરવા માટે ઉત્સુક છે.
વર્ષના અંત સુધીમાં 3 લાખ કરોડનો બિઝનેસ થવાની આશા
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે આશા વ્યક્ત કરી છે કે દિવાળીથી લઈને આ વર્ષના અંત સુધીમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા બજારમાં આવવાની ધારણા છે, જે નાણાંની તરલતા વધારશે અને વેપારીઓના નાણાકીય સંકટનું પણ સમાધાન થશે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની અન્ય યોજનાઓ હેઠળ લોકોને આપવામાં આવેલા નાણાં અને આ વર્ષે બેંકો દ્વારા ઔદ્યોગિક લોન કરતાં વધુ પર્સનલ લોન આપવાના કારણે લોકો પાસે જે પૈસા આવ્યા છે, તે બજારમાં જ ખર્ચવામાં આવશે. એટલે દિવાળીથી લઈને આવનાર સમય સુધી દેશભરના વેપારીઓ સારા વેપારની અપેક્ષા રાખી રહ્યા છે.
CAITની ચીની સામાનના બહિષ્કારની ઝુંબેશ ચાલુ
ગયા વર્ષે 10 જૂનના રોજ CAITએ દેશભરમાં ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે ત્રણ વર્ષનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું હતું. CAITએ કહ્યું કે આ દિવાળીના અવસર પર આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું કે CAITની સંશોધન શાખા CAIT ટ્રેડ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ સોસાયટીએ દેશના વિવિધ શહેરોમાં વેપારીઓ વચ્ચે એક સર્વે કર્યો હતો.
તેમણે જણાવ્યું કે તે સર્વેમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય બાદ આ વખતે દિવાળીના અવસર પર લોકો ખાસ કરીને માટીના દીવા, મીણબત્તીઓ અને મીણ, કોટન, ઘરને સજાવવા માટે રંગોળીના રંગો, માટીના લક્ષ્મી અને ગણેશ વગેરે ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક છે, જેથી તેઓ તેમના ઘરને પરંપરાગત રીતે સજાવી શકે.
આ પણ વાંચો : Share Market : તેજી સાથે કારોબારની થઈ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકા વધારો દર્શાવી રહ્યા છે