હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી સુદ એકમની તિથિનું સવિશેષ મહત્વ છે. આ દિવસથી જ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે. એટલે જ આ દિવસને ગુડી પડવા કે ઉગાદી જેવાં નામોથી ઉજવવામાં આવે છે. તો, આ દિવસથી જ ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. આપણી સંસ્કૃતિમાં આ ચૈત્રી નવરાત્રીનું સવિશેષ મહત્વ છે. પણ, આજે ઘણાં યુવાનો આ તહેવાર પાછળના ગૂઢાર્થને સમજી શકતા નથી. ત્યારે, આવો, આજે અમે આપને નવરાત્રીનું મહત્વને અને તેનું રહસ્ય જણાવીએ.
આપણાં આધ્યાત્મિક તહેવારોમાં બે રાત્રીઓનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. એમાં એક છે મહાશિવરાત્રી (પુરુષ તત્વ) અને બીજી નવરાત્રી (મહિલા તત્વ) શિવ અને શક્તિ વિના બ્રહ્માંડની કલ્પના જ ન કરી શકાય. એવી રીતે જ પુરુષ અને મહિલા વિના પરિવારની કલ્પના કરવી અશક્ય છે.
નવરાત્રી એ પ્રથમ 9 રાત્રીઓને કહેવાય છે કે જે બે ઋતુઓના મીલનની વચ્ચે હોય છે. જેમ કે ચાર ઋતુઓ હોય છે એવી જ રીતે ચાર નવરાત્રી પણ આવે છે ! નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસ શરીરના તમસ તત્વ એટલે કે ક્રોધ, અહંકારથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે. તેના બીજા 3 દિવસ રજસ એટલે કે આપ જે રાજસી, ભોગભર્યું જીવન જીવો છો, તેને દૂર કરીને આરોગ્યની તરફ લઇ જાય છે. જ્યારે અંતિમ ત્રણ દિવસ માતાને મળવાના છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. જેમાં શરીર પૂર્ણ રૂપે સત્વમાં હોય છે. જો તમે સાધના, જપ, તપ અને યોગની સાથે આ ચાર નવરાત્રીમાંથી બે નવરાત્રી એટલે કે ચૈત્ર અને આસો માસની નવરાત્રી કરો છો, તો જરૂરથી દેવી કૃપાને પ્રાપ્ત કરી લો છો. કારણ કે, આ બંન્ને નવરાત્રીએ ગૃહસ્થીઓની નવરાત્રી છે.
આપણાં આધ્યાત્મિક તહેવારોમાં નવરાત્રી એ માતૃ શક્તિઓને દર્શાવે છે. જેમ કે નવ ગ્રહ, નવ તહેવાર, નવ રંગ અને ગર્ભના 9 માસ 9 દિવસ ! જે રીતે માતાના ગર્ભમાં 9 મહિના બાળકનો વિકાસ થાય છે એ જ ક્રમમાં નવરાત્રીમાં આપણાં દરેક અંગનું શુદ્ધિકરણ થાય છે.
જ્યારે ઋતુ બદલાય છે, ત્યારે શરીરને તે ઋતુ પ્રમાણે ઢળવું પડે છે. તે સમયે ઘરમાં બીમારીઓ પણ આવી જાય છે. વાસ્તવમાં તેનાથી બચવા માટે જ નવરાત્રીના ઉપવાસ કરવામાં આવે છે. તે શરીરને પૂર્ણ રીતે શુદ્ધ કરી તેની આંતરિક ક્ષમતાને વધારે છે. અને એટલે જ ચૈત્રી નવરાત્રીમાં પણ વ્રત ઉપવાસ કરવામાં આવે છે અથવા તો અલ્પ આહાર લેવામાં આવે છે.
સાધક નવ દિવસ વ્રત રાખે છે. જમીન પર સૂવે છે. દરેક પ્રકારની સુખ સુવિધાથી પોતાને દૂર રાખે છે. માતાજીનું ઘટસ્થાપન કરે છે. કુંડામાં ઘઉં અને માટી ઉમેરી ઘરમાં ખુશહાલી લાવવા નવ દિવસ તેની પૂજા કરી તેની સન્મુખ બેસીને સપ્તશતીના પાઠ કરે છે. દેવી કવચના પાઠ કરે છે. માતાના મંત્રોનો જાપ કરીને બહારની દુનિયાથી પોતાને સુરક્ષિત કરે છે. દેવી કવચ એ બીજું કંઇ નહીં પરંતુ, શરીરના દરેક અંગોને યાદ કરીને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે એટલે દરેક અંગ માટે એક માતાજીનું નામ આવે છે.
જેમ તમને ખ્યાલ હશે કે જ્યારે હવન કરવામાં આવે ત્યારે ઘરના દરેક લોકો અગ્નિ સમક્ષ બેસી આંતરિક નકારાત્મકતા, ગ્રહોની અશાંતિ, બીમારીથી મુક્તિ મેળવવા માટે સંકલ્પ લઇને આહુતિ અર્પણ કરે છે. તેના કારણે પરિવારના લોકોની વચ્ચે આત્મીયતા વધે છે અને ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)