Tulsidas Jayanti 2022 : સંત તુલસીદાસ સાથે જોડાયેલી આ બાબતો, જેના વિશે ઘણા લોકો નથી જાણતા
તુલસીદાસ જયંતિ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આજે આ અવસર પર અહીં જાણીએ સંત તુલસીદાસના જીવન સાથે જોડાયેલી એવી વાતો જે ઘણા લોકો નથી જાણતા.
ગોસ્વામી તુલસીદાસ(Tulsidas Jayanti )નો જન્મ શ્રાવણ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિમાં થયો હતો. તુલસીદાસ એક મહાન સંત અને કવિ હતા. તુલસીદાસ ભગવાન રામ (shree Ram)ના પરમ ભક્ત હતા. તેમણે હિંદુ મહાકાવ્ય રામચરિતમાનસ, હનુમાન ચાલીસા સહિતના તમામ ગ્રંથોની રચના કરી અને તેમનું આખું જીવન ભક્તિ અને ધ્યાનમાં વિતાવ્યું. તુલસીદાસની જન્મ જયંતિના દિવસે લોકો ગોસ્વામી તુલસીદાસજીના સ્તોત્રો ગાય છે, તેમની કવિતાઓ અને ગ્રંથોનો પાઠ કરે છે અને તેમને યાદ કરે છે. તુલસીદાસ જયંતિના શુભ અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી એવી વાતો જણાવીએ છીએ જેના વિશે લોકો હજુ પણ અજાણ છે.
તુલસીદાસજીની જન્મતારીખ અંગે જુદા જુદા મંતવ્યો છે. પરંતુ તેમના જન્મ સમયનો એક ચમત્કાર તદ્દન પ્રચલિત છે. કહેવાય છે કે જ્યારે તુલસીદાસનો જન્મ થયો ત્યારે તેઓ રડ્યા નહોતા, પરંતુ મોઢે રામનું નામ બોલતા હતા. તેથી તેનું નામ રામબોલા પડ્યું. તુલસીદાસ બનતા પહેલા તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જીવતા હતા.
એવું કહેવાય છે કે જ્યારે રામબોલાના લગ્ન થયા હતા, ત્યારે તેને તેની પત્ની પ્રત્યે ઘણો લગાવ હતો. એક દિવસ તેની બેદરકારીથી કંટાળીને તેની પત્નીએ રામબોલાને કડવા શબ્દો બોલ્યા અને કહ્યું કે મારા શરીરને પ્રેમ કરવાને બદલે જો મેં રામને આટલો પ્રેમ કર્યો હોત તો જીવન સુધર્યું હોત. પત્નીની વાત સાંભળીને રામબોલાનું લાગી આવ્યુ અને તે રામ નામની શોધમાં નીકળી પડ્યા. આ પછી તેણે પોતાનું આખું જીવન રામજીને સમર્પિત કર્યું અને તે રામબોલામાંથી તુલસીદાસ બન્યા.
એવું કહેવાય છે કે તેમને ભગવાન શિવ દ્વારા સ્વપ્નમાં કવિતા રચવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી તેમણે રામચરિતમાનસની રચના કરી. તેને લખવામાં બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસ લાગ્યા. આ મહાકાવ્ય પૂર્ણ થયા પછી, તેઓ તેને કાશી લઈ ગયા અને ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિતમાનસ સંભળાવ્યું. તેનો પાઠ કર્યા પછી, તેણે તે પુસ્તક રાત્રે કાશી વિશ્વનાથ મંદિરમાં રાખ્યું. સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા તો તે પુસ્તક પર સત્યમ શિવમ સુંદરમ લખેલું જોવા મળ્યું.
તુલસીદાસે રામચરિતમાનસમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના ગુરુ તેમને રામાયણ સંભળાવતા હતા, જેમાંથી તેઓ ભગવાન શ્રી રામ વિશે વધુને વધુ જાણતા થયા અને તેમણે શ્રી રામચરિતમાનસ લખી. રામચરિતમાનસની સાથે, તેમણે કવિતાવલી, જાનકીમંગલ, વિનયપત્રિકા, ગીતાવલી, હનુમાન ચાલીસા, બરવાઈ રામાયણ વગેરે જેવી 12 અન્ય રચનાઓ પણ રચી, પરંતુ રામચરિતમાનસે તેમને હંમેશ માટે અમર બનાવી દીધા.
તુલસીદાસે ભગવાન હનુમાન, ભગવાન રામ-લક્ષ્મણ અને શિવ-પાર્વતીના પ્રત્યક્ષ દર્શન કર્યા હોવાનું કહેવાય છે. તેમના પ્રવાસ દરમિયાન તુલસીદાસને કાશીમાં એક ઝાડ પર ભૂત મળ્યું હતું, જેણે તેમને હનુમાનજીનું સરનામું જણાવ્યું હતું. હનુમાનજીના દર્શન કર્યા બાદ તેમને શ્રી રામ અને લક્ષ્મણના દર્શન થયા. તે પણ પ્રચલિત છે કે રામભક્ત હનુમાનજીએ તેમને રામચરિતમાનસ લખવામાં મદદ કરી હતી.