Shrawan 2022 : ગુજરાતનાં ગાઢ જંગલોની વચ્ચે સ્થિત છે મહેશ્વરનું સૌથી દુર્લભ સ્વરૂપ ! પાતાળેશ્વર મહાદેવનો જાણો મહિમા

શ્રાવણ (shravan) એટલે તો શિવભક્તોનો સૌથી પ્રિય માસ. અલગ અલગ શિવલાયોમાં (shivalaya) લોકો દેવાધિદેવના દર્શન માટે ઉમટી પડતાં હોય છે. દરેક નગર અને દરેક શહેરમાં શિવજીના અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. ક્યાંક તો શિવજીના કેટલાક દુર્લભ (Rare) સ્વરૂપના ભક્તોને દર્શન થતાં હોય છે. શિવજીનું એક એવું જ દુર્લભ સ્વરૂપ એટલે તો પાતાળેશ્વર મહાદેવ (Pataleshwar […]

Shrawan 2022 : ગુજરાતનાં ગાઢ જંગલોની વચ્ચે સ્થિત છે મહેશ્વરનું સૌથી દુર્લભ સ્વરૂપ ! પાતાળેશ્વર મહાદેવનો જાણો મહિમા
Pataleshwar Mahadev
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:37 AM

શ્રાવણ (shravan) એટલે તો શિવભક્તોનો સૌથી પ્રિય માસ. અલગ અલગ શિવલાયોમાં (shivalaya) લોકો દેવાધિદેવના દર્શન માટે ઉમટી પડતાં હોય છે. દરેક નગર અને દરેક શહેરમાં શિવજીના અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે. ક્યાંક તો શિવજીના કેટલાક દુર્લભ (Rare) સ્વરૂપના ભક્તોને દર્શન થતાં હોય છે. શિવજીનું એક એવું જ દુર્લભ સ્વરૂપ એટલે તો પાતાળેશ્વર મહાદેવ (Pataleshwar Mahadev). શિવજીનું આ એ સ્વરૂપ છે કે જેના વર્ષમાં માત્ર દોઢ માસ જ થાય છે દર્શન ! આ તો એ શિવલિંગ છે કે જેના સુધી ઉત્સવો સિવાય પહોંચવું જ મુશ્કેલ બની જાય છે.

ક્યાં બિરાજમાંન થયું છે શિવજીનું દુર્લભ સ્વરૂપ ?

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં બાબરીયા ગામ આવેલું છે. ઉનાથી લગભગ 20 કિ.મી.ના અંતરે આ ગામ સ્થિત છે. અને આ ગામની સમીપે જ આવેલું છે પાતાળેશ્વર મહાદેવનું મંદિર. સામાન્ય રીતે ‘પાતાળેશ્વર’નો અર્થ થતો હોય છે પાતાળમાં, જમીનથી નીચે બિરાજતા ઈશ્વર. પરંતુ, અહીં ‘પાતાળેશ્વર’નો અર્થ થાય છે ખૂબ જ દૂર બિરાજતા ઈશ્વર ! અને તેમના નામની જેમ જ સ્થાનિક વસ્તીથી દૂર ગીચ જંગલ વચ્ચે બિરાજ્યા છે દેવાધિદેવ મહાદેવ.

ભક્તો ગાઢ વનના અખૂટ સૌંદર્યને માણતા પાતાળેશ્વર મહાદેવની સમીપે પહોંચતા હોય છે. પ્રકૃતિના સાનિધ્યને લીધે અહીં પહોંચતા જ યાત્રાનો થાક સંપૂર્ણપણે ઉતરી જાય છે. તો, પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને અને સ્વહસ્તે તેમની પૂજા કરીને ભક્તો પરમશાંતિનો અહેસાસ કરે છે. પાતાળેશ્વર મહાદેવનું આ રૂપ એ તો સ્વયં પાંડવો દ્વારા સ્થાપિત અને પૂજીત હોવાની લોકવાયકા છે.

કેમ સંપૂર્ણ વર્ષ નથી થતાં પાતાળેશ્વરના દર્શન ?

આ સ્થાનકને લઈને સૌથી રોચક વાત એ છે કે અહીં મહેશ્વર માત્ર દોઢ માસ માટે દર્શન દે છે. સ્થાનક ગાઢ જંગલ મધ્યે સ્થિત છે. ત્યારે વન્યજીવોને પણ તકલીફ ન પડે તે માટે અહીં અન્ય દિવસોમાં લોકોને આવવાની પરવાનગી નથી અપાતી. માત્ર શ્રાવણ માસમાં જ આ સ્થાનક દર્શન માટે ખુલ્લુ રહે છે. તો શિવરાત્રીના સાત દિવસ પૂર્વે અને સાત દિવસ બાદ સુધી અહીં ભક્તોને દર્શને આવવાની પરવાનગી મળે છે. સ્થાનકની આ મહત્તા અને પ્રકૃતિના સાનિધ્યને લીધે આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં ખેંચાઈ આવે છે. શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન જ પાતાળેશ્વરના દર્શન થતાં હોઈ તે સમયે અહીં શ્રદ્ધાળુઓની સવિશેષ ભીડ જોવા મળે છે.

કહે છે કે ભલે દોઢ માસ પાતાળેશ્વર મહાદેવના દર્શન થાય છે પણ તે સર્વની દરેક કામનાને પૂર્ણ કરે છે. એટલે જ તો જ્યારે પણ મહેશ્વરના દુર્લભ સ્વરૂપના થાય છે દર્શન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના સાનિધ્યે ઉમટી પડે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us