હિંદુ ભાવિકોની એક મનશા તો ચોક્કસથી રહેતી જ હોય છે કે તે જીવનમાં એકવાર ચારધામ (Chardham)ના દર્શન કરી લે. ચાર ધામના દર્શન ન થઈ શકે તો ઉત્તરાખંડ(Uttrakhand)માં આવેલાં નાના ચારધામના એકવાર દર્શન કરી લે. અને જો તે પણ ન થઈ શકે તો એકવાર હરિદ્વાર – ઋષિકેશ(Rishikesh)ની યાત્રા તો ચોક્કસથી કરી જ લે. અહીંના એ ભરત મંદિર(Bharat mandir)ના દર્શન કે જેના વિના અપૂર્ણ મનાય છે ઋષિકેશની યાત્રા !
ભરત મંદિર ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ શહેરમાં ગંગા નદીને કિનારે આવેલું છે. જેને 12મી શતાબ્દીમાં હિન્દુ ધર્મના જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ પ્રાચીન મંદિર. આ મંદિર આ ક્ષેત્રનું સૌથી પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. મંદિરના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન વિષ્ણુની એક મૂર્તિ સ્થાપિત છે. જે મૂર્તિ શાલીગ્રામ પત્થરના એક જ ટુકડામાંથી બનેલી છે. શાલીગ્રામનો આ પત્થર નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે. જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.
મંદિરની પૌરાણિક કથા
ઋષિકેશ નારાયણની આ દિવ્ય પ્રતિમાનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની સાથે પણ એક રોચક કથા જોડાયેલી છે. વાસ્તવમાં તો તે કથા આ સ્થાનના ‘ઋષિકેશ’ નામ ધારણ કરવા સાથે પણ જોડાયેલી છે. કેટલાંક ભક્તો ઋષિકેશનો અર્થ ઋષિમુનિઓના કેશ સાથે જોડે છે. પણ વાસ્તવમાં એવું નથી. સ્કંદ પુરાણના કેદાર ખંડના 115 થી 120 અધ્યાયમાં ઋષિકેશ નામનું રહસ્ય અને આ સ્થાનકની મહત્તાનું વિસ્તૃત વર્ણન મળે છે. તેમાં વર્ણિત કથા અનુસાર સતયુગમાં ઋષિકેશની આ જ ભૂમિ પર રૈભ્ય મુનિ અને સોમ શર્માએ તેમની ઈન્દ્રિયોને વશમાં રાખી આકરી તપસ્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્દ્રિયોને હૃષિક પણ કહે છે ! પુરાણોક્ત કથા અનુસાર ભક્તોના તપથી પ્રસન્ન થઈ શ્રીહરિ વિષ્ણુ અહીં પ્રગટ થયા. તેમણે તેમની માયાના ભક્તોને દર્શન કરાવ્યા. રૈભ્ય મુનિ અને સોમ શર્માએ પ્રભુને અહીં જ વિદ્યમાન થવા પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિએ વરદાન દેતા કહ્યું કે,
શ્રીનારાયણઃ
“હે મુનિશ્રેષ્ઠ ! તમે તમારી ‘હૃશીક’ને (ઈન્દ્રીયોને) વશમાં કરીને મારી તપસ્યા કરી છે. એટલે આ સ્થાનક ‘હૃષિકેશ’ના નામે ખ્યાત થશે. હું અહીં ‘હૃષિકેશ નારાયણ’ના નામે બિરાજમાન થઈશ. અને કળિયુગમાં ભરત નામે વિખ્યાત થઈશ !”
વાસ્તવમાં આ ભૂમિનું સાચું નામ છે. પણ, આજે અપભ્રંશને લીધે તે ઋષિકેશના નામે ખ્યાત થયું છે. અન્ય એક કથા અનુસાર ત્રેતાયુગમાં શ્રીરામના ભાઈ ભરતજી હૃષિકેશની પાવન ભૂમિ પર પધાર્યા હતા. કહે છે કે તે સમયે ભરતજીએ અહીં જ નારાયણની સેવા કરી મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. અને તેમાં હૃષિકેશ નારાયણની પ્રતિમાને પુનઃ પ્રતિષ્ઠિત કરી. ભરતજીના નામ પરથી જ આ સ્થાન ભરત મંદિરના નામે ખ્યાત થયું. અને તેમના વચન અનુસાર શ્રીનારાયણે પણ ભરત નામને ધારણ કર્યું.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
Published On - 6:26 am, Sat, 14 May 22