વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ઘરમાં ઉપયોગમાં લેવાતી એક એક વસ્તુ પણ એક આગવી જ મહત્તા ધરાવે છે. ત્યાં સુધી કે પૂજાઘર અને રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ પણ વ્યક્તિના જીવન પર સારી અને ખરાબ અસરો પાડી શકે છે ! તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ, આપના ઘરમાં રહેલો તવો પણ તમારા જ જીવન માટે મુસીબતનું કારણ બની શકે છે ! એક તવો તમારા દાંપત્ય જીવનમાં કડવાશ પણ લાવી શકે છે !
રસોઈમાં રોટલી માટે વપરાતા તવાને કેટલાંક તવી કે લોઢી પણ કહે છે. આ તવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ તવાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા જીવનમાં અનેક પરેશાનીને નોતરું આપી શકે છે ! એટલે તવાનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક વસ્તુઓ ભૂલ્યા વિના કરવી જોઈએ અને કેટલીક તો ભૂલથી પણ ન કરવી જોઈએ. નીચે જણાવેલ બાબતોથી આ વાતને સમજીએ.
લૌકિક માન્યતા એવી છે કે રોટલી બનાવતા પહેલા તવા ઉપર થોડું મીઠું છાંટી દેવું જોઈએ. ત્યારબાદ રસોઇ બનાવતા સમયે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી. અને પછી જ આપના માટે અને આપના પરિવાર માટે રોટલી બનાવવી. કહે છે કે આ કાર્ય કરવાથી આપના ઘરમાં ક્યારેય ધનની ઉણપ નહીં વર્તાય. અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે.
ઘણાં લોકોને ગમે તે કારણસર ગરમ તવા પર પાણી છાંટવાની આદત હોય છે. પરંતુ, આપે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. માન્યતા એવી છે કે આવું કરવાથી આપના વૈવાહિક જીવનમાં મુસીબતો આવે છે. એટલે કે, એક તવો દાંપત્ય જીવનમાં કલેશનું કારણ પણ બની શકે છે ! એટલું જ નહીં, આ બાબત આપના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તવાને ક્યારેય પણ ઉંધો ન રાખવો જોઈએ. આ કાર્ય ભૂલથી પણ ન કરવું જોઇએ. તેનાથી ઘરમાં અચાનક કોઇ મોટી મુસીબત આવી શકે છે !
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઇ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો તવો ક્યારેય ખુલ્લામાં ન રાખવો જોઇએ. આપે હંમેશા તવો છુપાવીને રાખવો જોઇએ. એટલે કે, હંમેશા એવો જ પ્રયત્ન કરવો કે ઘરના સભ્યો સિવાય બહારની કોઇ પણ વ્યક્તિની નજર આપના તવા પર ન પડે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)