12 નવેમ્બર 2023ના રોજ આખા દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિલ્હીની હવામાં પ્રદૂષણના કારણે ચિંતા વધી ગઈ છે. સાથે-સાથે અમદાવાદની હવા પણ ખરાબ થઈ રહી છે. તો ખરાબ હવાની ગુણવત્તાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જો દિવાળી પર ફટાકડા ફોડવામાં આવે તો દેખીતી રીતે જ પ્રદૂષણમાં વધી શકે છે.
પ્રદુષણ દરેકના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ માટે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો એ દરેકની ફરજ છે. આ માટે આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવો. અમે તમારા માટે ખાસ ટીપ્સ લઈને આવ્યા છીએ. તમે તેને અનુસરી શકો છો.
દિવાળી એ ખુશી, સ્નેહ અને પ્રેમનો તહેવાર છે. તેથી તમારા તહેવારનો ઉત્સાહ ઓછો ન કરવો જોઈએ પરંતુ કેટલીક ટિપ્સની મદદથી તમે ઇકો-ફ્રેન્ડલી, ગ્રીન અને ક્લીન દિવાળીની ઉજવણી કરી શકો છો. બસ ખાલી આટલું કામ કરવું પડશે.
દિવાળી પર દુકાનોથી લઈને મોટા મકાનો, ઓફિસો અને ઘરો સુધી, દરેક જગ્યાએ ચમકતી રોશનીની લાઈટો ગોઠવવામાં આવે છે પણ આ વખતે લાઇટિંગ માટે સોલાર લાઇટનો ઉપયોગ કરો. તેનાથી લાઈટ બિલના રૂપિયા પણ બચશે.
જો તમે દિવાળી પર તમારા પ્રિયજનોને ભેટ અથવા મીઠાઈ આપવા માંગતા હો, તો ટકાઉ પેકેજિંગના નામે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે ઇકો-ફ્રેન્ડલી પેકિંગ પસંદ કરો. જો તમે ઇચ્છો તો તમે રંગબેરંગી કાગળ લાવીને ઘરે મીઠાઈઓ અને ગિફ્ટોને સરસ રીતે પેકિંગ કરીને તૈયાર કરી શકો છો.
આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના દિવડાઓના ઓપ્શન પણ ઉપલબ્ધ છે. માટીના દીવાઓનું સ્થાન હવે રંગબેરંગી મીણબત્તીઓએ લઈ લીધું છે. આ દિવાળીએ તમારા ઘરને પરંપરાગત રીતે બનાવેલા માટીના દીવાઓથી રોશન કરો. દિવાળી પછી આ દીવાઓ કોઈ કચરો પેદા કરતા નથી કે નકામા નથી બની જતાં. કારણ કે તેને પાછું ખાતર બનાવી શકાય છે અથવા બીજા વર્ષે ઉપયોગમાં લઈ શકાય છે.
દિવાળી પર આંગણા અને દરવાજા પર રંગોળી ન બનાવવામાં આવે તો તે અધૂરી લાગે છે. ગૃહિણીનો તો શોખ હોય છે કે તેના ઘરની રંગોળી શાનદાર લાગે. આ વખતે બજારમાંથી કેમિકલવાળા રંગો ખરીદવાને બદલે ફૂલોની પાંદડીઓ અને નેચરલ રંગો લાવીને રંગોળી બનાવી શકો છો. આની મદદથી તમે ઇકો ફ્રેન્ડલી રંગોળી બનાવી શકો છો. તેના બદલે દરેક વ્યક્તિ તમારી આવડતના વખાણ કરશે.