
સનાતન ધર્મમાં, દેવતાઓની પૂજામાં વાસણની ધાતુને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. મહાદેવની પૂજામાં પણ આ નિયમ લાગુ પડે છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યોગ્ય રીતે અને યોગ્ય પાત્રમાં જળ કે દૂધ અર્પણ કરવું જરૂરી છે. શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કયા ધાતુના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને કયા વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ.
તાંબાનું પાત્ર : શાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શિવલિંગ પર જળ અર્પણ કરતી તાંબુ શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર ધાતુ છે. જ્યારે ભગવાન શિવને તાંબાના વાસણમાં જળ અર્પણ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી ગ્રહોના ખરાબ પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. વૈજ્ઞાનિક રીતે, તાંબાના સંપર્કમાં આવેલું પાણી અત્યંત શુદ્ધ અને બેક્ટેરિયા મુક્ત બને છે.
પિત્તળ અથવા કાંસાનું પાત્ર : તાંબા પછી પિત્તળ અને કાંસું શુભ માનવામાં આવેલું છે. જો તાંબાનું પાત્ર ઉપલબ્ધ ન હોય તો શિવલિંગ પર જળ ચઢાવવા માટે પિત્તળ અથવા કાંસાના પાત્રનો પણ ઉપયોગ કરી શકાય છે.
ચાંદી અથવા સોનાનું પાત્ર : જો શક્ય હોય તો સોનું-ચાંદીના પાત્રનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક માન્યતા છે કે ખાસ કરીને ચાંદીના પાત્રમાં જળ અથવા ગંગાજળ અર્પણ કરવાથી ચંદ્ર સંબંધિત અશુભ પ્રભાવ ઓછો થઈ શકે છે અને માનસિક શાંતિ મળે છે.
તાંબાનુ વાસણ : તાંબાના વાસણમાં દૂધ કે પંચામૃત અર્પણ કરવાનું ટાળો: ધ્યાનમાં રાખો કે તાંબાના વાસણમાં જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર દૂધ, દહીં કે પંચામૃત અર્પણ કરશો નહીં. શાસ્ત્રો અનુસાર, જો દૂધ તાંબાના વાસણમાં સંગ્રહિત કરવામાં આવે છે, તો તે રાસાયણિક પ્રતિક્રિયાને કારણે ઝેરી બની જાય છે. તેથી જો તમે દૂધ સાથે અભિષેક કરવા માંગતા હો, તો હંમેશા પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરવો.
લોખંડ અને સ્ટીલનું પાત્ર : આધુનિક સમયમાં ઘણા લોકો લોખંડ અથવા સ્ટીલના પાત્રથી જળાભિષેક કરે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર લોખંડ અને સ્ટીલના પાત્રનો ઉપયોગ શુભ માનવામાં આવતો નથી. લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે. ધાર્મિક વિધિ દરમિયાન તેનો ઉપયોગ ટાળવાની માન્યતા છે. સ્ટીલ પણ લોખંડનું જ એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક : માન્યતા અનુસાર એલ્યુમિનિયમને રાહુ સાથે જોડાયેલી ધાતુ માનવામાં આવે છે. પ્લાસ્ટિકને પણ પૂજામાં યોગ્ય માનવામાં આવતું નથી. કોઈપણ ધાર્મિક વિધિમાં એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ ટાળવો જોઈએ.
નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.