Russia Ukraine War: પીએમ મોદી અને પુતિન વચ્ચે ફોન પર 50 મિનિટ સુધી થઈ વાતચીત, યુક્રેનની સ્થિતિ પર થઈ ચર્ચા

|

Mar 07, 2022 | 3:54 PM

PM મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી અને તેમને યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તરપૂર્વીય શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે મદદ કરવા વિનંતી કરી હતી.

Russia Ukraine War: વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે ફોન પર વાત કરી હતી. ફોન કોલ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યો. બંને નેતાઓએ યુક્રેનની વિકસતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયન ટીમો વચ્ચેની વાટાઘાટોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ રાષ્ટ્રપતિ પુતિનને તેમની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (President Zelensky) સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી.

વડાપ્રધાન મોદીએ યુક્રેનના સુમી સહિત કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને માનવતાવાદી કોરિડોર ( humanitarian corridors)ની સ્થાપનાની જાહેરાતની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ સુમી ( Sumy)માંથી ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને તેમના સુરક્ષિત સ્થળાંતર માટે તમામ શક્ય સહયોગની ખાતરી આપી હતી.

યુદ્ધને કારણે લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ સુમીમાં

પહેલા પણ PM મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી અને તેમને યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તરપૂર્વીય શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે મદદ કરવા વિનંતી કરી હતી. લગભગ 35 મિનિટ સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પૂર્વી યુરોપિયન દેશ યુક્રેનમાં ઉભરી રહેલી સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રો દ્વારા પણ આ માહિતી આપવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ સુમીમાં ફસાયેલા છે.

બંને નેતાઓ વચ્ચેની વાતચીત

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ યુક્રેનની સરકારને સુમીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ચાલુ રાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.

તેમણે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે ઝેલેન્સકીનો આભાર માન્યો. બંને નેતાઓ વચ્ચેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત તેના નાગરિકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં સિઝફાયરની જાહેરાત કરી, માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવશે

Next Video