સામાજીક પ્રસંગે હાજરી આપવા અમદાવાદની મુલાકાતે આવેલા ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે, ભાજપ ઉપર ભારે વાકપ્રહાર કર્યા હતા. યાદવે જણાવ્યું હતું કે, જેમ અત્યારે સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે તે જ રીતે ભાજપનો પણ સફાયો થશે. મોંધવારી, બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓ પર ભાજપ સાવ નિષ્ફળ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવાના બદલે લોકોનુ ધ્યાન ભટકે તે માટે ભાજપ ગતકડા કરે છે.
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ તેના વિરોધીઓનો સફાયો કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને ઈન્કમટેક્સ જેવી સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ કરે છે.
ઉતર પ્રદેશમાં ભાજપના દેખાવ અંગે અખિલેશે કહ્યું કે, કેન્દ્રની સરકાર ઉતરપ્રદેશ સાથે ભેદભાવ રાખે છે. કેન્દ્રીય બજેટમાં ઉતરપ્રદેશને કેમ હિસ્સો નથી અપાતો. ઉતર પ્રદેશમાં વીજળી મોંધી છે. સસ્તી કરવા માટે જરૂરી કવોટો વધારવામાં નથી આવતો. વારાણસીમાં વીજ ક્વોટો વધે તો સમગ્ર ઉતરપ્રદેશને વીજળી મળી શકે તેમ છે.
આગામી લોકસભાની ચૂંટણી અંગે અખિલેશ યાદવે કહ્યું કે, ઉતર પ્રદેશમાંથી ભાજપ ધોવાઈ જશે. લોકસભાની ચૂંટણીમાં ઉતરપ્રદેશની જનતા ભાજપને 80 બેઠકો પર હરાવશે. આ વખતની ચૂંટણીનું પરિણામ જાદુઈ હશે. ભાજપની ધારણાથી વિરુદ્ધ હશે.
ખેડૂતો માટેની વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપને મુદ્દાઓ પર ચર્ચા કરવી ગમતી નથી. ખેડૂતો દુખી છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતા હતા પરંતુ દેશનો ખેડૂતને તેની મહેનતનું પરિણામ નથી મળતું. વિદેશથી બટાકા મંગાવવા પડે છે. સરસવનું તેલ પણ હવે વિદેશથી આયાત કરવી પડે તેવી સ્થિતિ ભાજપે સર્જી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ, શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નમાં હાજરી આપવા માટે ગઈકાલ શનિવારે ગાંધીનગર આવ્યાં હતા.