ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓ વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા અને ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના પગલે બુધવારે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં(Sabarmati) 76, 000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નર્મદા કેનાલમાંથી પણ 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ ગાંધીનગર સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની અસર હવે અમદાવાદ
શહેરના રિવર ફ્રન્ટ(Riverfront) પર જોવા મળી રહી છે.સાબરમતી નદીમાં રિવરફ્રન્ટના પગથિયાં સુધી પાણી પહોંચ્યા. તેમજ
એક વાગ્યા બાદ પાણીની આવક નદીમાં વર્તાવાની શરુ થઈ છે.
સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ 55.50 મીટર છે અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના ૨૧ દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે..
Published On - 5:28 pm, Thu, 18 August 22