Ahmedabad : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે શહેરમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. હાલ મતગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષામાં ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી તૈનાત છે. સ્ટ્રૉન્ગ રૂમ બહાર CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.
બીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં થયુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર સરેરાશ 58.32 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં 59.62 ટકા અને સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન થયુ છે. 2017ની સરખામણીએ મતદાનમાં 8 ટકા જેટલો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે, 2017માં અમદાવાદમાં 66.69 ટકા મતદાન થયુ હતુ.
તો શહેરી વિસ્તારની તમામ 16 બેઠકોમાં 8 થી 15 ટકા જેવો માતબર ઘટાડો જોવા મળ્યો છે.
આ તરફ ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. 7 વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 7 રૂમ તૈયાર કરાયા છે. મતગણતરીની પ્રક્રિયામાં કુલ 350 કર્મચારીઓ જોડાશે. તો મતગણતરી સ્થળે થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.