પાટીદાર (Patidar) સમાજની દીકરીઓના વિધર્મી યુવકો સાથે પ્રેમલગ્નને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ (R P Patlel)ચિંતા વ્યક્ત કરી છે. આર.પી. પટેલે લવ જેહાદ (Love Jihad)ને સમાજનો સળગતો પ્રશ્ન ગણાવ્યો છે. આર.પી. પટેલે કહ્યુ કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. જેના પર સમાજે હવે ચેતી જવાની જરૂર છે. તેમણે કહ્યુ છે કે સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીં તો આવનારા સમયમાં ખૂબ મોટી તકલિફ પડશે તેવો દાવો પણ પોતાના નિવેદનમાં કર્યો છે.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદારની 300 દીકરીઓને જેહાદી પ્રવૃતિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ હશે તેવો સવાલ ઉઠાવીને આર.પી. પટેલે ચિંતા પણ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દીકરીઓના લગ્નમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યુ હતુ.
આર.પી. પટેલે જણાવ્યુ ” દીકરીઓના મરજી મુજબના એકતરફી જે પ્રેમલગ્ન થાય છે તેના માટે આખા સમાજે જાગૃત થવુ પડશે. તાજેતરમાં સુરતના માત્ર એક સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાટીદારની 300 દીકરીઓને અન્ય સમાજના યુવકો જેહાદના નામે લઈ ગયા છે. આ સમાજનો સળગતો પ્રશ્ન છે. તમને બધાને વિનંતિ કરુ છુ ખાસ કરીને વડીલોને કે દીકરીઓનું ધ્યાન રાખીએ. સમાજમાં અને ઘરમાં એવુ વાતાવરણ ઉભુ કરીએ કે દીકરીઓ આવા માર્ગે ન જાય.”