સુરેન્દ્રનગરમાં સરકારી સસ્તા અનાજના દુકાનદારો વિવિધ માગણીઓને લઈ રોષ વ્યક્ત કર્યો છે. FPS એસોસિએશન એટલે કે રેશનિંગના દુકાનદારોએ કમિશન ફિક્સ કરવા સહિતની માગણીઓ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
FPS એસોસિએશનના સુરેન્દ્રનગરના પ્રમુખ પ્રમાણે માસિક 20 હજાર રૂપિયા કમિશન ફિક્સ કરવું, કમિશનમાંથી TDS ન કાપવો, નિયમિત કમિશન ચૂકવવું, બાયોમેટ્રિક વેરીફાઈ માન્ય રાખવું અને મજૂરો દ્વારા માગવામાં આવતી ચા-પાણીની રકમ બંધ કરાવવા સહિતની માગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી છે. જો આ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો જિલ્લામાં અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ નારાયણ ચાવડાના જણાવ્યા મુજબ બે-બે વખત વેપારીઓ દ્વારા ગ્રાહકોના અંગુઠા લેવામાં આવે છે તેને લઈને ગ્રાહકોને વેપારીઓ સાથે ઘર્ષણ થાય છે આ બાબતને લઈને નિરાકરણ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપારીઓને નિયમિત કમિશન જે મળવુ જોઈએ તે સમયસર મળતુ નથી. આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે.