રાજ્યમાં રખડતા ઢોરની અડફેટે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. કેટલાક કિસ્સામાં રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકોના મોત પણ થયા છે. જેમાં વધુ એક બોટાદની ઘટના ઉમેરાઈ છે. બોટાદના ઉગામેડી ગામે આખલાની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત થયુ છે. ઉગામેડી ગામના ભરતભાઈ જૈનમ નામના વ્યક્તિને આખલાએ અડફેટે લેતા મોતને ભેટ્યા છે. જૈનમ મરચાની પેઢી ધરાવતા હતા. તેઓ તેમની બાઈક પર બેસી પેઢી પર જઈ રહ્યા હતા એ સમયે આખલાએ તેમને અડફેટે લીધા હતા. જેમાં ભરતભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આથી બોટાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. રાજ્યમાં વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરના ત્રાસને કારણે જીવ ગુમાવ્યો છે.
આ અગાઉ ભાવનગરમાં રખડતા ઢોરના કારણે એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો હતો. મહેસાણાનો 29 વર્ષનો યુવક ભાવનગરના કળિયાબીડ વિસ્તારમાં રહેતો હતો. તે કોઈ કામ અર્થે ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં અચાનક જ એક રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જે પછી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતુ.
રાજકોટમાં પણ રખડતા ઢોરે ત્રણ મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધી હતી. જેમાં ત્રણે મહિલા પોલીસ કર્મચારી ગંભીર ઈજા પહોંચી હતી. અચાનક એક શ્વાનના ભસવાથી રસ્તા પર રખડતી ગાય ભડકી ગઈ હતી અને દોડવા લાગી હતી. આ ગાય દોડીને બાઈક પર જઈ રહેલા ગાયત્રીબેન સાથે ભટકાઈ હતી. ગાયત્રીબેન બાઇક લઈને જઈ રહેલા પોલીસ કર્મીની અડફેટે આવતા ત્રણેય મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.
Published On - 10:07 pm, Thu, 5 January 23