સામાન્ય પરિવારને વ્યાજે રૂપિયા આપી હેરાન કરનારને છોડવામાં નહીં આવે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી ચેતવણી આપી છે..સુરેન્દ્રનગરમાં ભાજપ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા હર્ષ સંઘવીએ વ્યાજ ખોરોને ચેતવણી આપી અને કહ્યું કે રાજ્યમાં સામાન્ય પરિવારને હેરાન કરનારા એક એક વ્યક્તિને શોધીને કાર્યવાહી કરવામાં આવશે લોકોને હેરાન કરનાર એક પણ વ્યક્તિને સાંખી નહીં લેવાય. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે વ્યાજના દૂષણને ડામવા માટે પોલીસ લોકદરબાર યોજી રહી છે.
અત્યાર સુધી પોલીસે 1650 લોકદરબારનું આયોજન કર્યું છે.જેમાં 850 જેટલા વ્યાજનું દૂષણ ચલાવતા લોકો સામે કેસ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. ત્યારે પોલીસ પણ વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કામ લઇ રહી છે.
અમદાવાદની વાત કરીએ તો હાલમાં શહેરમાં દૈનિક 2થી 3 કેસ વ્યાજખોરો વિરુદ્ધ નોંધવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 5 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધીમાં વ્યાજખોરો વિરુદ્ધ 42 ગુના નોંધવામાં આવ્યા છે. શહેર પોલીસે 104 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાં 62 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સાથે પોલીસ લોકદરબાર યોજીને પણ બેફામ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદમાં યોજાયેલા લોકદરબારમાં 100થી વધુ અરજીઓ વ્યાજખોરો વિરુદ્ધ આવી છે.તથા વ્યાજખોરોના ડરથી ફરિયાદ કરતા ડરતા હોય તેવા લોકો માટે પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 169 ફરિયાદ પેટી મુકી છે.
આ પણ વાંચો : Rajkot: નકલી ચલણી નોટો કૌભાંડના તાર હૈદરાબાદ સુધી ખુલ્યા, આરોપીએ હૈદરાબાદના શખ્સ પાસેથી લીધી હતી નકલી નોટો