શામળાજી-ચીલોડા નેશનલ હાઈવેને સિક્સ લાઈન માટેનું કાર્ય છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ આ કામ હજુ પૂર્ણ થઈ શક્યું નથી. બીજી તરફ અધૂરા અને નબળા કામને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક અને અવરજવર રહે છે, ત્યાં ડ્રેનેજ લાઈનના કામ અધૂરા અને કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન કે ચેતવણીના બોર્ડ વિનાના હોવાને લઈ અકસ્માત સર્જાઈ રહ્યા છે.
વરસાદી પાણી નેશનલ હાઈવે પર નિકાલના અભાવે ભરાઈ જવા પામે છે. જેને લઈ પાણીમાં ડ્રેનેજ લાઈન ક્યાં છે, એ જ વાહન ચાલકોને સમજાતી નથી. જેને લઈ અનેક વાહનો વારંવાર ડ્રેનેજ લાઈનમાં ખાબકી રહ્યા છે. એક ડમ્પર ટ્રક, ઉપરાંત બેથી ત્રણ કાર વારાફરતી ડ્રેનેજ લાઈનમાં ખાબકવાના દૃશ્યો મંગળવારે જોવા મળ્યા હતા. વાહનચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરોટી સામે રોષ વ્યાપ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો