Valsad: ભારે વરસાદના કારણે ઔરંગા નદી ઓવરફ્લો, કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયાં

|

Jul 10, 2022 | 11:00 AM

વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તંત્રની ટીમ અને NDRFની ટીમ કાશ્મીરાનગરમાં લોકોની મદદ પહોંચી છે.

વલસાડ (Valsad) માં બારે મેઘ ખાંગા થયા છે. સ્થાનિક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ઔરંગા નદી ઓવરફ્લો (overflow) થઈ છે. નદીના પાણી કાંઠાના વિસ્તારોમાં ભરાવા લાગ્યા છે. વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તંત્રની ટીમ અને NDRFની ટીમ કાશ્મીરાનગરમાં લોકોની મદદ પહોંચી છે. પૂર આવતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકો ઘરનો સામાન અન્ય સ્થળે જતા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજીતરફ કૈલાશ રોડ પર ઔરંગા નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગતાં રસ્તો બંધ કરી દેવાયો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં નદીમાં પૂર આવતાં આવી પરિસ્થિતિ સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે તેમને વધારે અંતર કાપીને બીજા રસ્તેથી જવા મજબૂર થવું પડે છે.

વલસાડ જિલ્લામાં પાછલા ચાર દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 8 અને ધરમપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીના પાણી વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયા વાડ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા. જે બાદ કલેક્ટરે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી. તો સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું. અને નદીકાંઠાની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું.

Published On - 10:01 am, Sun, 10 July 22

Next Video