અમદાવાદ થી શામળાજી હાઈવે પર પસાર થવુ હોય તો હવે હિંમતનગરથી પસાર કરવુ એટલે માથાના દુઃખાવા જેવી સ્થિતિ બની ગઈ છે. હિંમતનગર શહેરના જીઆઈડીસીથી કાંકણોલ સુધીની હાઈવે પર સહકારી જીન ચોકડી અને મોતિપુરામાં ટ્રાફિક જામ રહેતો હોય છે. જેમાં ખાસ કરીને સહકારી જીન ચાર રસ્તા પર અયોગ્ય આયોજનને લઈ ટ્રાફિક જામ પરેશાન કરી રહ્યો છે. સવારથી મોડી રાત સુધી ટ્રાફિકની લાંબી કતારો જોવા મળતી હોય છે.
એક્રોપોલિસ મોલ સુધી ટ્રાફિક જામ થવો એ સામાન્ય વાત બની ચુકી છે. જ્યારે સોમવારે તો આ જામની કતારો છેક કાંકણોલ ગામ સુધી સર્જાઈ હતી. અયોગ્ય ટ્રાફિક સંચાલન વ્યવસ્થા સર્જાઈ હોવાને લઈ આ પરિસ્થિતિ શહેર ભરમાં વિકટ બની છે. શહેરમાં પણ ટાવર ચોક, બસ સ્ટેશન, પોલીટેકનિક ચાર રસ્તા, મહાવીરનગર સર્કલ, છાપરીયા ચાર રસ્તા સહિત ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. સિટી ટ્રાફિકની અલાયદી વ્યવસ્થા કરવા છતાં પણ તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતી હોવાનો રોષ ઠલવાઈ રહ્યો છે. તો બીજી તરફ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનુ કામ પણ બંધ હોવાને લઈ ડાયવર્ઝનને લઈ સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
Published On - 5:40 pm, Mon, 27 November 23