રખડતા ઢોરને નાથવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 50 હજારથી વધુ રખડતા આખલાઓનું કરાશે ખસીકરણ

|

Jan 16, 2023 | 3:56 PM

ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક ખૂબ જ વધી ગયો છે. ઘણા લોકો રખડતા ઢોરના કારણે મોતને ભેટ્યા છે. રખડતા ઢોરનો પ્રશ્ન ગુજરાતમાં સતત રહ્યા કરે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા અગાઉ એક બિલ પણ લાવવામાં આવ્યુ હતુ. જો કે બાદમાં માલધારી સમાજના વિરોધ બાદ પરત લઇ લેવામાં આવ્યુ હતુ. ત્યારે હવે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 156 નગરપાલિકામાં આખલાઓનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સરકાર સાથે સ્થાનિક સંસ્થાઓ, સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ,NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

આખલાઓના ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. ખસીકરણ બાદ આખલાઓને ગૌ માતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલાશે.

Next Video