ભાવનગર (Bhavnagar) જિલ્લાના વલ્લભીપુર નજીક એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતે એક જ પરિવારના ત્રણ સભ્યોને ભરખી (Death) લીધા છે. વલ્લભીપુરના ઉમરાળા જવાના માર્ગ પર મોડીરાત્રે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પરિવાર વિખેરાઇ ગયો છે. તો સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જો કે હજુ સુધી આ પરિવાર ક્યાનો છે તેની જાણકારી મળી નથી. બીજી તરફ ઘટનાને લઇને પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા નજીક વલ્લભીપુરથી ઉમરાળા જતા માર્ગ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકસ્માતમાં મોત થયુ છે. આ અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રનું મોત થયુ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વલ્લભીપુરથી ઉમરાળા જતા માર્ગ પર મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ કારમાં સવાર પરિવારના ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે જ સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કરીને બોલાવી હતી. જે પછી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને પીએમ માટે અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ પરિવાર ક્યાંનો હતો તે અંગે કોઇ જાણ નથી. જો કે પોલીસે આ મૃતકોની ઓળખ મેળવવા અને તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવા માટે કાર્યવાહી તેજ કરી છે.
(વીથ ઇનપુટ-અજીત ગઢવી, ભાવનગર)