સિંહની વસ્તીગણતરી આવતા 10 દિવસમા આવી રહી છે વનવિભાગ સિંહોની વસ્તીગણતરી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે સિંહોના મોતની ઘટનાઓ અમરેલી જિલ્લામાં વધી રહી છે. 3 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હોવાથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાં 2 દિવસ પહેલા બાળ સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દ્વારા કબજો લઈ પીએમ માટે એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ 26 એપ્રિલે રાજુલાના કોટડી ગામ નજીક જવાના માર્ગે રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં એક પાઠડા સિંહ કે જે દોઢથી બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા રાજુલા વનવિભાગની ટીમ ઘટના સ્થળેથી મૃતદેહ કબ્જે લઈ પીએમ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિંહનું પણ કુદરતી મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.
બંને મૃતદેહોના એનિમલ ડોકટર ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.સમગ્ર મામલે શેત્રુંજી ડીવીઝન એસીએફ વિરલસિંહ ચાવડાનો સંપર્ક કરતા કહ્યું બંને સિંહોના કુદરતી રીતે મોત થયા છે કોઈ અકુદરતી રીતે મોતની ઘટનાય નથી.
સિંહોની વસ્તી ગણતરી પહેલા સિંહોએ જીવ ગુમાવતા સિંહપ્રેમીઓમા ચિંતા વધી છે પ્રથમ સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક હડફેટે સિંહનું મોત થયા બાદ રાજુલાના ભેરાઈ પીપાવાવ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળ્યો ત્યાદબાદ ગઈ કાલે રાજુલાના કોટડી ગામ નજીકથી એક સિંહનો મૃતદેહ મળ્યો આમ જિલ્લામાં 4 દિવસમાં 3 સિંહોએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.જેના કારણે સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.
Input Credit- Jaydev Kathi- Amreli