સુરતના બેગમપુરા વિસ્તારમાં એક મકાનનો સ્લેબ ધરાશાયી થયાના સમાચાર સામે આવ્યા છે. જૂના અને જર્જરીત મકાનનો સ્લેબ તૂટવાની આ ઘટનામાં એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. સ્લેબ તૂટીને નિચે ભોંયતળિયે પડતા જ વૃદ્ધનુ મોત નિપજ્યુ હતુ. મકાન લગભગ 80 વર્ષ જૂનુ છે અને તેને સ્લેબ તૂટી પડ્યો હતો.આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા દંપતિ પૈકી વૃદ્ધ સ્લેબમાં દબાઈ ગયા હતા.
વૃદ્ધને તાત્કાલીક જ સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્ત 65 વર્ષીય વૃદ્ધ રાજેન્દ્ર આરીવાલ મૃત હોવાનુ જાહેર કરાયુ હતુ. બેગમપુરા કડીયા શેરી વિસ્તારની આ ઘટનાને પગલે ફાયર સહિત કોર્પોરેશનની ટીમો સ્થળ પર દોડી આવી હતી. જર્જરીત મકાનો ઉતારી લેવા માટે કોર્પોરેશન દ્વારા અનેક વાર સૂચનાઓ અને નોટીસ આપવામાં આવતી હોય છે. આમ છતાં કેટલાક જૂના જોખમી મકાનોને લઈ બેદરકારી દાખવવામાં આવતી હોય છે. સ્લેબ પડતા વૃદ્ધના મોત બાદ હવે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ શરુ કરવામાં આવી શકે છે.
Published On - 7:01 pm, Sun, 24 September 23