ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ખૂબ જ નજીકમાં છે. ગણતરીના દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ શકે છે. ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારના કામમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ મેદાનમાં છે. યુવા પરિવર્તન યાત્રાના તર્જ પર હવે કોંગ્રેસ (Congress) ગુજરાતમાં 5 યાત્રા યોજશે. યાત્રા દરમિયાન રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો થશે. વધુમાં વધુ બેઠકો સુધી પહોંચવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાશે. આ રેલી અને યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે. દરેક રેલી અને યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી રહેશે. ચૂંટણી પહેલા વધુમાં વધુ વિધાનસભા ક્ષેત્ર કવર કરવા કોંગ્રેસ આયોજન બનાવી રહ્યુ છે. તો બીજી તરફ ઉમેદવાર પસંદગીની (Candidate selection) કામગીરી પણ ચાલી રહી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પૂરજોશમાં કામગીરી કરી રહી છે. કોંગ્રેસ ગુજરાતમાં વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા માટે પાંચ યાત્રા યોજશે. યાત્રા દરમિયાન રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો થશે. તો બીજી તરફ ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળશે. 19થી 21 ઓક્ટોબર સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળવાની છે. બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે.
મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ હવે વધુમાં વધુ બેઠક મેળવવા માટે કામ કરી રહ્યા છે. મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસ 3 મુદ્દે મંથન કરી રહી છે. ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસમાં 3 મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી છે. 70 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારોને ચૂંટણી ન લડાવવા અંગે ચર્ચા છે. તો બીજી તરફ સિટિંગ ધારાસભ્ય અને અન્ય નેતાઓને બેઠક ન બદલવા અંગે પણ ચર્ચા છે. તો વધુમાં વધુ યુવા અને નવા ચહેરાઓને ચૂંટણી લડવા અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે 3 મુદ્દે હજુ કોંગ્રેસમાં કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.
Published On - 4:57 pm, Sun, 16 October 22