Sabarkantha : સાબરકાંઠામાં લમ્પી વાયરસથી (Lumpy virus) એક પશુનુ મોત થયું છે. ખેડબ્રહ્માના મટોડા ગામમાં વાયરસની અસરથી એક પશુનું મોત થયું છે.એક જ દિવસમાં જિલ્લામાં કુલ 31 કેસ નોંધાયા છે.જિલ્લામાં લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર પોશીના તાલુકામાં જોવા મળ્યો છે. જ્યાં લમ્પી વાયરસના 15 કેસ નોંધાયા છે. આ બાબતે પશુપાલન અધિકારીનું કહેવું છે કે પોશીના તાલુકો (poshi taluka) રાજસ્થાનને અડીને આવેલો હોવાથી બોર્ડર પર પશુઓની અવર-જવર રહેતી હોય છે.જેના કારણે કેસ વધુ જોવા મળ્યા છે.. પરંતુ ત્યાં પશુઓની હેરાફેરી પર ન કરવા સૂચના આપી દેવાઈ છે.તો બીજી તરફ પશુપાલન અધિકારીનું કહેવુ છે કે,જિલ્લામાં અત્યાર સુધી કુલ 174 કેસ નોંધાયા છે જિલ્લામાં સાબર ડેરી (Sabar dairy) અને પશુપાલન વિભાગ દ્વારા 50 હજાર જેટલા પશુઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ બનાસકાંઠામાં (banaskantha) પણ લમ્પી વાયરસે ભરડો લીધો છે.લાખણીના કુડા ગામમાં આવેલી ગૌશાળામાં એક સાથે 15 ગાયો લમ્પીથી સંક્રમિત થઈ છે. જો કે હાલ તો જાતે સારવાર કરી રહેલા પશુપાલકોએ તંત્ર પાસે મદદ માગી છે.મહત્વનું છે કે, લાખણીમાં સરકારી ચોપડે લમ્પીના 411 કેસ નોંધાયા છે.
લમ્પીને કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યાં છે, ત્યારે પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને નાથવા રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે.રાજ્યમાં લમ્પીની સ્થિતિને લઇ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે માહિતી આપી.તેમણે કહ્યું કે આજે રાજ્યના 12 અસરગ્રસ્ત જિલ્લામાં એક પણ લમ્પીનો નવો કેસ નોંધાયો નથી.તો 15 જિલ્લામાં લમ્પીથી એક પણ પશુનું મોત થયું નથી.સાથે જ રાઘવજી પટેલે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ICARની લમ્પીની રસી લોન્ચ કરી છે.રસી ગુજરાતને મળે તે માટે કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે.ટુંક સમયમાં જ ગુજરાતમાં રસી ઉપલબ્ધ થશે.વધુમાં રાઘવજીએ કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં 31 લાખથી વધુ પશુનું રસીકરણ કરાયું છે.