પરશોત્તમ રૂપાલા સામે સામે રાજપૂત સમાજનો આક્રોશ હવે આસમાને પહોંચ્યો છે. અમદાવાદમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં આગેવાનોએ રણટંકાર કરી તેમની ટિકિટ રદ કરવાની માગ કરી છે. સાથે જ જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે.
ભાજપના નેતાઓએ હવે પાટીલના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યોજી ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરી છે. બીજી તરફ આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઇ છે. કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ પાટીલ 8-10 લોકોને બદલે ક્ષત્રિય સમાજની તમામ પાંખ સાથે બેઠક કરે તેવી માગ કરી છે. ચૂંટણીમાં ભાજપ માટે નવાજૂની કરી શકવાની ક્ષમતા ધરાવતો ક્ષત્રિય સમાજ રૂપાલાને બક્ષવાના મૂડમાં નથી. ત્યારે સવાલ એ છે કે શું આવનારા સમયમાં વિરોધની આગ ઓલવાશે કે વધુ ફેલાશે ?